BANASKANTHAPALANPUR

બનાસકાંઠા પ્રભારી સચિવશ્રી મોના ખંધારની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

22 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના માર્ગો, બ્રિજો, જાહેર સેવાઓની ઇમારતો, ડેમો સહિતના મુદ્દાઓ અંગે ઉંડાણપૂર્વક સમીક્ષા કરતા પ્રભારી સચિવશ્રી
પ્રભારી સચિવશ્રીએ સબંધિત અધિકારીશ્રીઓ સાથે જિલ્લાના વિવિધ બ્રિજ તથા શાળાનું સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી સૂચન કર્યા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના સચિવશ્રીઓને જિલ્લાકક્ષાએ જઈને જાત નિરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવશ્રી મોના ખંધારે કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે સબંધિત અધિકારીશ્રીઓ સાથે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી સમીક્ષા કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વના વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન ચાર્ટ થકી કરવામાં આવેલી કામગીરીનો પ્રભારી સચિવશ્રીને ચિતાર આપ્યો હતો. માર્ગો ઉપર વરસાદી સિઝન દરમિયાન થયેલું ધોવાણ-નુકસાન બાદ દુરસ્તીકરણની કામગીરી અંગે પ્રભારી સચિવશ્રીએ સમીક્ષા કરી હતી. સચિવશ્રીએ મુખ્યમંત્રીશ્રીના દિશા-નિર્દેશો મુજબ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના માર્ગો, નગરપાલિકા હસ્તકના માર્ગો અને બ્રીજ સહિત જિલ્લામાં સ્થિત જાહેર સેવાઓની ઇમારતો, શાળાઓ, કોલેજ, પાણીની ટાંકીઓ, ડેમ, તળાવો, આંગણવાડીઓ, ઓફિસ, શોપિંગ સેન્ટર, રોડ – રસ્તા, સ્વછતા વગેરે બાબતે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
પ્રભારી સચિવશ્રીએ અમલીકરણ અધિકારીશ્રીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાંક બ્રિજ ભારે વાહન માટે પ્રતિબંધિત છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી, બ્રિજની ટ્રાફિક ભાર ક્ષમતા, બ્રિજોની હાલની સ્થિતિથી ડાયવર્ઝન થયેલા રૂટમાં આવતા ગામડાંઓના રોડ- રસ્તાની મરામત અને મોટરેબલ રહે તે માટે સૂચનો કર્યા હતા. તેમણે જર્જરિત મકાન અને ટાંકીઓને તત્કાલિક ઉતારી લેવા તથા જરૂરી રીપેરિંગ, મેઈન્ટેનન્સ તથા વાહન વ્યવહાર સતત જળવાઈ રહે તેવા આયોજન કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રોડ અને બ્રિજ પર તેની ડિઝાઇન મુજબ જ વાહન વ્યવહાર પસાર થાય, ઓવર બ્રિજ પર પાણી ના ભરાય, શહેરના માર્ગો પર ભુવા ના પડે તથા સ્વચ્છતા જળવાઈ રહે સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરીને સમીક્ષા કરાઈ હતી. પ્રભારી સચિવશ્રીએ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો, આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પંચાયત ઘર અંગે પણ બારીકાઈથી સમીક્ષા કરી હતી. જોખમી હોય તેવી તમામ બિલ્ડીંગ બંધ કરવા અને આ માળખાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવા માટે તુરંત પગલાં લેવાના સૂચનો આપ્યા હતા. જિલ્લામાં નાગરિકોને કોઈ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો.પ્રભારી સચિવશ્રીએ કાણોદર પ્રાથમિક શાળા નંબર ૨ ખાતે સ્થળ વિઝીટ કરીને વર્ગખંડો તથા મધ્યાહન ભોજન કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીશ્રીઓ સાથે પાલનપુર અમદાવાદ રેલવે ઓવરબ્રિજ, આર.ટી.ઓ બ્રિજ તથા મેરવાડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી સી.પી.પટેલ સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!