હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી હતી. ત્યારે રવિવારે ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમરેલી, મોરબી, દ્વારકા, પાટણ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ અમદાવાદમાં પણ સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ અને ભારે પવનની સાથે ધૂળની ડમરી ઉડી રહી છે. પરિણામે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.
કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં પૂર્વ કચ્છના રાપર અને અંજારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ પશ્ચિમ કચ્છ દેશલપર, સામત્રા, માનકુવા, દેશલપર વાંઢ સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ધૂળની ડમરીઓ અને પવન ફૂંકાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અમરેલીના ધારી પંથકના ગામડાઓમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યાં ધારીના દલખાણીયા, પાણીયા, મીઠાપુર, આંબાગાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.
પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વારાહી, લખાપુરા, કમાલપુર સહીત ગામોમાં વરસાદ વરસ્યો હતો. ભરઉનાળે વરસાદ પડતા કેરી, મગ, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગાહી કરી હતી કે,14મી એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા કચ્છના વિસ્તારમાં માવઠાની આગાહી કરી હતી. જ્યારે 15મી એપ્રિલે સાબરકાંઠા મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં છુટો-છવાયો વરસાદ વરસી શકે છે.