MORBI:મોરબીની મચ્છુ નદીમાં ગાડીવેલનું રામરાજ્ય : સામાજિક કાર્યકરોની તંત્રને એક મહિનાનું અલ્ટીમેટ, નહીંતર ઉપવાસની ચીમકી

MORBI:મોરબીની મચ્છુ નદીમાં ગાડીવેલનું રામરાજ્ય : સામાજિક કાર્યકરોની તંત્રને એક મહિનાનું અલ્ટીમેટ, નહીંતર ઉપવાસની ચીમકી
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ નદી હાલ તંત્રની ઘોર બેદરકારીને કારણે અત્યંત દયનીય હાલતમાં ફેરવાઈ ગઈ છે. નદીમાં ફેલાયેલી ગાંડી વેલ, ગંદકી અને ગેરકાયદેસર દબાણો મુદ્દે મોરબીના સામાજિક કાર્યકરોએ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી આગામી એક મહિનામાં સફાઈ કામગીરી પૂર્ણ કરવા માંગ કરી છે.
સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગિરીશભાઈ કોટેચા અને દેવેશભાઈ રાણેવાડીયા સહિતના અગ્રણીઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષથી મચ્છુ નદીની સફાઈ માટે રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓ આ બાબતે મૌન સેવી રહ્યા છે. કમિશનર દ્વારા આદેશો અપાયા હોવા છતાં નીચલા સ્તરના અધિકારીઓ કામગીરી કરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.
ગાંડી વેલનો ફેલાવો: મચ્છુ ૧, ૨ અને ૩ તેમજ ઝુલતા પુલ પાસેના વિસ્તારમાં ગાંડી વેલનું જાળું ફેલાયેલું છે. જો કોઈ દુર્ઘટના ઘટે તો બચાવ કામગીરીમાં આ વેલ મોટી અડચણ ઉભી કરી શકે તેમ છે.ગંદકી અને પ્રદૂષણ: નદીમાં મૃત પશુઓ ફેંકવામાં આવતા પાણી દૂષિત થયું છે, જેનાથી રોગચાળો ફેલાવાની ભીતિ છે.ગેરકાયદેસર દબાણ અને કાટમાળ: ટ્રેક્ટરો દ્વારા નદીના પટમાં કાટમાળ ઠાલવવામાં આવી રહ્યો છે, જેનાથી નદી પુરાઈ રહી છે અને પૂરનો ખતરો વધી રહ્યો છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, જો આગામી ૧ મહિનાની અંદર નદીની સંપૂર્ણ સાફ-સફાઈ અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નહીં આવે, તો મોરબીની જનતા અને સામાજિક કાર્યકરો સાથે મળીને નદીના પટાંગણમાં જ પ્રતિક ઉપવાસ પર ઉતરશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ મચ્છુ નદીના વિસ્તૃતિકરણની વાત કરી હતી, ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર આ દિશામાં તાકીદે પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે.









