ABADASABHUJKUTCH

કનકપર(અબડાસા) અને સુખપર(ભુજ) મુકામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરોનું આયોજન કરવામાં આવ્યુ

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

કચ્છ : પશુપાલકોને પશુપાલન વિષયક નવિન જાણકારી મળતી રહે તે માટે જીલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા દરેક તાલુકામાં પશુપાલન શિબીરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં પશુ દવાખાના- નલીયા દ્વારા કનકપર એ.પી.એમ.સી. ખાતે અને પશુ દવાખાના- ભુજ દ્વારા સુખપર મુકામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આજુબાજુનાં ગામોનાં પશુપાલકોએ મોટી સંખ્યામાં હાજર રહી પશુ આરોગ્ય, પશુ પોષણ, પશુ માવજત, પશુ સંવર્ધન અને રસીકરણ, ખસીકરણ, કૃમિનાશક દવાઓની આવશ્યકતા, પશુપાલકો માટે કિસાન ક્રેડિટ કાર્ડ, ઇ- ગોપાલા એપ્લિકેશન, દુધ અને ફેટ વધારવાનાં સોનેરી સુચનો, પશુપાલન વિભાગની વિવિધ સહાય યોજનાઓ, સેક્સ્ડ સીમેન ટેકનોલોજી, એમ્બ્રિયો ટ્રાંસપ્લાન્ટ ટેકનોલોજી જેવા વિવિધ વિષયોની અદ્યતન વૈજ્ઞાનિક માહિતી મેળવી હતી. શિબિરની સાથે સાથે પશુપાલન શાખા અને સરહદ ડેરી દ્વારા પ્રદર્શન સ્ટોલ્સ પણ ગોઠવવામાં આવ્યા હતા.

કનકપર ખાતેની શિબીર દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લી મુકતાં અબડાસા વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહજી જાડેજાએ પશુપાલકોને વ્યવસાયલક્ષી અભિગમ અપનાવી ઓછા પણ સારા પશુઓ રાખવા અને આવક જાવકની ગણતરી સાથે સુઝબુઝથી પશુપાલન કરવા જણાવ્યું હતું. તેમણે સરકારશ્રીની યોજનાનો લાભ લઇ રખડતા નર વાછરડાઓનું ખસીકરણ કરાવી લેવા અનુરોધ કર્યો હતો. તાલુકા પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન જયદીપસિંહ, ન્યાય સમિતિનાં શિવજીભાઇ વણકર, એ.પી.એમ.સી. નાં ગોવિંદભાઇ ભાનુશાલી, વાડીલાલભાઇ પોકાર, મોથાળાનાં સરપંચ વિનેક ડાભી, કનકપર સરપંચશ્રી ચંદ્રિકાબેન વગેરેએ હાજરી આપી હતી.


ભુજ તાલુકાનાં સુખપર ગામ ખાતેની શિબીરમાં અધ્યક્ષસ્થાનેથી ઉદબોધન કરતાં ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલે પ્રકૃતિ, પર્યાવરણ અને પશુપાલન એક બીજાથી સંકળાયેલ હોવાનું જણાવી પશુપાલકોને પોતાના અનુભવ અને વૈજ્ઞાનિક જ્ઞાનનાં સમન્વયથી નીતિ પુર્વક વ્યવસાયને વિકસાવવા પર ભાર મુક્યો હતો. તેમણે આઝાદીનાં અમૃતકાળમાં પશુપાલકોની આવક બમણી કરવા સરકાર દ્વારા તમામ ક્ષેત્રે કરાતાં પ્રયાસો વર્ણવી પશુપાલકોને કોઇ પણ સમસ્યા હોય તો તેનાં નિવારણ માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદ વરસાણી, સરપંચશ્રી અમરબેન, અગ્રણીઓ મનજીભાઇ નાનજીભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નાયબ પશુપાલન નિયામક ડો. હરેશ ઠક્કર એ પશુપાલન એ બાર હજાર વર્ષ જુનો વિશ્વનો સૌથી પ્રાચિન વ્યવસાય હોવાનું અને વૈશ્વિક દુધ ઉત્પાદનનાં ૨૪.૬ ટકા સાથે ભારત દેશ સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરનું સ્થાન ધરાવતો હોવાનું જણાવી કચ્છ જીલ્લામાં દુધ ઉત્પાદન ક્ષેત્રે ઘણી ક્ષમતાઓ રહી હોવાનું જણાવ્યું હતું. આ શિબીરોમાં ઘનિષ્ટ પશુ સુધારણા નાં ડો. વસંત રામાણી, પોલિ-ક્લિનિકનાં ડૉ. ગિરિશ પરમાર, ડો. લાલાણી, ડો. ઠાકોર, ડૉ. કુલીન પટેલ, ડૉ.આગલોડીયા, ડો. મમતા પંડ્યા, સરહદ ડેરીનાં ડૉ. પંડ્યા, ડો. પ્રજાપતિ વગેરેએ અલગ અલગ મુદ્દાઓ પરત્વે વિસ્તૃત માર્ગદર્શન પુરું પાડેલ હતું. સ્થાનિક આયોજન તાલુકાનાં પશુ દવાખાના તેમજ ડી.એમ.એફ. યોજનાનાં સમગ્ર પશુપાલન સ્ટાફે સંભાળ્યું હતું તેમ નાયબ પશુપાલન નિયામક જીલ્લા પંચાયત કચ્છ દ્વારા જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!