MORBI:મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં માતા-પિતા પૂજન દિવસની ભાવપૂર્ણ ઉજવણી

MORBI:મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં માતા-પિતા પૂજન દિવસની ભાવપૂર્ણ ઉજવણી
શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા સાર્થક વિદ્યામંદિર દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન કરવાના હેતુથી ‘માતા-પિતા પૂજન દિવસ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ ભાવભીના હૃદયે પોતાના માતા-પિતાનું પૂજન કરી આજના પશ્ચિમી સંસ્કૃતિના યુગમાં એક નવી મિસાલ કાયમ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતા-પિતાની આરતી ઉતારી, તિલક કરી અને મોં મીઠું કરાવી તેમના આશીર્વાદ લીધા હતા. આ અવસરે અંદાજે 50 જેટલા વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ પોતાના સંતાનોના આ આદરભાવને જોઈ ગદગદિત થઈ ગયા હતા.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી કમલેશ ગુરુજી, પ્રધાનચાર્ય ગણેશ ગુરુજી તથા વિવેક ગુરુજી અને વિભાગીય વડાઓ (HOD) હાજર રહ્યા હતા. કમલેશ ગુરુજીએ જણાવ્યું હતું કે, “બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન થાય અને તેઓ પોતાના માતા-પિતાના ઋણને સમજે તે જ શિક્ષણનો સાચો હેતુ છે.”
કાર્યક્રમને સફળ બનાવવામાં વિદ્યાર્થીઓનો ફાળો પણ મહત્વનો રહ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ વક્તવ્ય (Speech) આપીને માતા-પિતાના ત્યાગ અને સમર્પણની ગાથા વર્ણવી હતી અને ઉપસ્થિત સૌને ભાવવિભોર કરી દીધા હતા.











