MORBI:મોરબીની કરુણતા: એક તરફ લોહીના ડાઘ, બીજી તરફ નેતાઓ અભિવાદનમા મસ્ત

MORBI:મોરબીની કરુણતા: એક તરફ લોહીના ડાઘ, બીજી તરફ નેતાઓ અભિવાદનમા મસ્ત
એક સમયે ‘પેરિસ’ ગણાતું મોરબી આજે ગુનાખોરીના ભરડામાં એવું ફસાયું છે કે પ્રજા રસ્તા પર નીકળતા પણ ડર અનુભવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મોરબી જિલ્લામાં હત્યા, લૂંટ, ચોરી અને મારામારીના બનાવોએ માઝા મૂકી છે. તાજેતરમાં સોની યુવાનની નિર્મમ હત્યા બાદ સમગ્ર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, છતાં સત્તાધારી પક્ષના નેતાઓ પ્રજાની વેદના સમજવાને બદલે ઉત્સવો અને સંગઠનની ઉજવણીમાં રચ્યાપચ્યા જોવા મળી રહ્યા છે.
સોની યુવાનની હત્યા બાદ લોકોએ શ્રદ્ધાંજલિ રેલી કાઢી અને શનાળા રોડ પર ચક્કાજામ કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની ખાતરી બાદ મામલો થાળે પડ્યો હતો, પરંતુ ત્યારબાદ પોલીસે કરેલી કાર્યવાહી માત્ર ‘નાટક’ સમાન સાબિત થઈ છે. પોલીસે એક દિવસીય કોમ્બિંગનો દેખાડો તો કર્યો, પણ તેમાં કયા ગુનેગારો પકડાયા કે શું શંકાસ્પદ વસ્તુઓ મળી, તેની કોઈ વિગત જાહેર કરવામાં આવી નથી. ચર્ચાઓ મુજબ, જિલ્લાના એસ.પી. પોતાની એસી ચેમ્બરમાંથી બહાર નીકળવાની તસ્દી પણ લેતા નથી.પ્રજા શોકમાં, નેતાઓ મોજમાં! મોરબીમાં જ્યારે એક તરફ હત્યાના બનાવથી ગમગીની અને આક્રોશનો માહોલ છે, ત્યારે બીજી તરફ જિલ્લા ભાજપના નવા સંગઠનની રચના બાદ ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં પ્રદેશના નેતાઓ, ધારાસભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા, પરંતુ કમનસીબી એ છે કે કોઈ પણ નેતાએ વધતી ગુનાખોરી અંગે ચિંતા વ્યક્ત કરી નથી કે મૃતક યુવાનના પરિવારને સાંત્વના આપવા જવાની તસ્દી લીધી નથી.નેતાગીરીમાં જૂથવાદ અને ખોટા આશ્વાસનો સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના નવા સંગઠનમાં પણ એકહથ્થુ શાસન અને જૂથવાદ ચરમસીમાએ છે. નારાજ પૂર્વ હોદ્દેદારો અંદરોઅંદર આક્ષેપબાજી કરી રહ્યા છે. બીજી તરફ, સ્થાનિક ધારાસભ્ય એવો દાવો કરી રહ્યા છે કે તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને જાણ કરી છે અને ગૃહમંત્રીએ એસ.પી.ને કડક સૂચના આપી છે. જો આ વાત સાચી હોય, તો સવાલ એ ઉઠે છે કે શું મોરબી પોલીસ ગૃહમંત્રીની સૂચનાને પણ ઘોળીને પી ગઈ છે? કે પછી નેતાઓ જનતા સામે જૂઠું બોલી રહ્યા છે? જનતા નો આક્રોશ “બિહાર કરતા પણ બદતર હાલત”સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે નેતાઓ માત્ર પોતાના અંગત સ્વાર્થ અને પદની લડાઈમાં વ્યસ્ત છે, જેના કારણે મોરબીની હાલત બિહાર કરતા પણ બદતર થઈ ગઈ છે. જો આ ‘નપાણીયા’ નેતાઓ જાગશે નહીં અને પોલીસ કડક હાથે કામ નહીં લે, તો આગામી ચૂંટણીઓમાં જાગૃત પ્રજા આ નેતાઓને પાઠ ભણાવશે તે નક્કી છે.









