WAKANER “દિનની તાલીમ સાથે દીકરીનો ઉજ્જવળ પ્રારંભ – વાંકાનેરમાં શિક્ષણ અને સંસ્કારનું સુંદર સંકલન”





WAKANER “દિનની તાલીમ સાથે દીકરીનો ઉજ્જવળ પ્રારંભ – વાંકાનેરમાં શિક્ષણ અને સંસ્કારનું સુંદર સંકલન”


વાંકાનેરના પછાત વિસ્તાર ગણાતા દાતાર ટેકરી રોડ વિસ્તારમાં શિક્ષણ અને સંસ્કારનું એક અનોખું અને પ્રેરણાદાયી દૃશ્ય જોવા મળી રહ્યું છે. મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 5 જાન્યુઆરી 2026થી શરૂ કરાયેલ મદ્રેસામાં નાનાં બાળકોને આધુનિક શિક્ષણ સાથે દિનની ઈસ્લામી તાલીમ આપવામાં આવી રહી છે, જે સમાજ માટે આશાની નવી કિરણ સમાન છે.આ મદ્રેસામાં હાલ 22 જેટલી નાની દીકરીઓ અને 10 જેટલા નાના દીકરાઓ ઈસ્લામી શિક્ષણ સાથે અરબી, ઉર્દુ અને ગુજરાતી ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. ખાસ ગૌરવની વાત એ છે કે 13 વર્ષની રહેનાઝ યાસીનભાઈ સોહોરવદી એ માત્ર ત્રણ મહિનાની મહેનતથી કુરાન શરીફના પાઠની શરૂઆત કરી છે, જે તેની લગન અને સંસ્થાના માર્ગદર્શનનું ઉત્તમ ઉદાહરણ છે.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જહાંગીર શાહ બાપુ, ઉપપ્રમુખ યાસીન રાઠોડ અને મંત્રી આરીફ દિવાન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે મળીને દીકરીને પ્રોત્સાહિત કરી, દુઆઓ આપી અને ઈસ્લામી પરંપરા મુજબ નિયાઝ રૂપે ચોકલેટ-બિસ્કીટનું વિતરણ કર્યું. સાથે જ ફૂલહાર પહેરાવી દીકરીના પ્રયત્નોને વધાવી લીધા.

મૌલાના અબ્દુલ હલીમ કાદરી દ્વારા બાળકોને ઉર્દુ અને અરબી ભાષાનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે, જે તેમના ભવિષ્ય માટે મજબૂત આધાર પૂરું પાડે છે. આ પ્રયત્નો માત્ર ધાર્મિક શિક્ષણ પૂરતા મર્યાદિત નથી, પરંતુ બાળકોને સારું નાગરિક બનવા માટે જરૂરી સંસ્કાર અને શિક્ષણ બંને આપી રહ્યા છે.આવા પ્રયાસો સાબિત કરે છે કે એકતા, શિક્ષણ અને સંસ્કાર સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. સંસ્થાના સેવાભાવી કાર્યથી આશા છે કે આવનારા સમયમાં વધુ બાળકો શિક્ષણના પ્રકાશથી ઉજળી ઊઠશે અને સમાજમાં એકતા અને પ્રગતિનો સંદેશ મજબૂત બનશે.



