
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય તથા જૂનાગઢ જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જૂનાગઢના પ્રમુખશ્રી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને આજ રોજ રેડક્રોસ આપના દ્વારે કાર્યક્રમ યોજાયો હતો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જૂનાગઢના પ્રમુખશ્રી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણા વસીયા એ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જૂનાગઢમાં રેડ ક્રોસ સંસ્થા ૧૦૦ વર્ષોથી અવિરત નાગરિકોની સેવા નિસ્વાર્થ ભાવે કરી રહી છે. એ ખૂબ જ અદભુત વાત છે.જૂનાગઢમાં ટૂંક સમયમાં બ્લડ બેન્ક શરૂ થશે એ ખૂબ જ ગૌરવની વાત છે.ત્યારે કલેક્ટરશ્રી એ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર તરફથી જૂનાગઢ રેડક્રોસ સોસાયટીને આધુનિક સેન્ટર બનાવવા માટે બનતી તમામ મદદ કરવા ખાતરી આપી હતી.સાથે જ તેમણે જણાવ્યું હતું કે કોવિડ મહામારીમાં રેડ ક્રોસ સંસ્થાએ લોકોને ખૂબ જ મદદ કરી છે.આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય કથાકાર અને વિદ્યાવાચસ્પતિ શાસ્ત્રી ડો. મહાદેવ પ્રસાદ મહેતાએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, સેવાનો ધર્મ ખૂબ જ કઠિન છે. યોગીઓ માટે પણ દુર્લભ છે. આ સેવાના યજ્ઞમાં જે પણ જોડાય તે ખરા અર્થમાં યોગી નહીં પણ મહાયોગી છે.ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા એ જણાવ્યું હતું કે, દેશ ના અર્થતંત્રને મજબૂત કરવા માટે સરકાર જેટલો જ ફાળો એનજીઓ સંસ્થાઓનો રહેલો છે.તેમણે જૂનાગઢ રેડક્રોસ સોસાયટી દ્વારા થતી વિવિધ સેવાકીય કામગીરીઓને બિરદાવી હતી.સાથે જ તેમણે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જૂનાગઢ જિલ્લા શાખાના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ મશરૂને આ માટે અભિનંદન આપ્યા હતા આ તકે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના વાઇસ ચેરમેન ડો. અજય દેસાઈએ જણાવ્યું હતું કે,રેડ ક્રોસ આપણા આંગણે પ્રકલ્પ હેઠળ જૂનાગઢમાં ટૂંક સમયમાં બ્લડ બેન્ક કાર્યરત થશે.આ માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્રારા જૂનાગઢ જિલ્લા શાખાને રૂ.૧ કરોડના સાધનોની મદદ કરવામાં આવી છે.આ બ્લડ બેન્ક માટેના લાઇસન્સની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ જૂનાગઢમાં બ્લડ બેન્ક શરૂ થઈ જશે.આ ઉપરાંત બીજા પ્રોજેક્ટ જેવા કે ડેન્ટલ ક્લિનિક,ફિઝીયોથેરાપી સેન્ટર,ક્લિનિકલ લેબોરેટરી,જેનરીક મેડિકલ સ્ટોરનાપ્રકલ્પો માટે ગુજરાત રાજ્ય ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રૂપિયા ૨૫ લાખના અનુદાનની પણ જોગવાઈ કરવામાં આવી છે.તેમણે આ તકે રેડક્રોસ સોસાયટીની અન્ય સેવાઓની માહિતી પણ આપી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સેવા પરમો ધર્મનું સૂત્ર સાર્થક કરતી વૈશ્વિક સંસ્થા એટલે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી. જે ૧૯૨૦ થી અવિરત રીતે ભારતભરમાં આરોગ્ય સેવાઓ અને કુદરતી આપત્તિ સમયે બચાવવાની રાહત કામગીરી માટે કટિબદ્ધ છે. ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જૂનાગઢ જિલ્લાની શાખા દ્વારા આવનારા સમયમાં કાર્યરત થનાર બ્લડ બેન્ક,ફિઝીયોથેરાપી સેન્ટર,ડેન્ટલ ક્લિનિક સહિતના વિવિધ પ્રકલ્પો જૂનાગઢ જિલ્લાના લોકોની આરોગ્યની સુખાકારીમાં વધારો કરશે.કાર્યક્રમના આરંભે કાશ્મીરના પહેલગામમાં થયેલ આંતકવાદી હુમલામાં મૃતકો માટે એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.કાર્યક્રમના આરંભે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જૂનાગઢ જિલ્લા શાખાના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ મશરૂએ સ્વાગત પ્રવચન કર્યું હતું. અને આભાર વિધિ ડો. મહેશ વારાએ કરી હતી.આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા,જૂનાગઢ મહાનગરપાલિકા મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા,ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા,ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા,શ્રી ચેતનભાઇ ફળદુ,જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર ડો.ઓમ પ્રકાશ,જૂનાગઢ મહાનગર ભાજપ પૂર્વ પ્રમુખશ્રી પુનિત શર્મા,જૂનાગઢ મહાનગર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જૂનાગઢ જિલ્લા શાખા ના ઉપપ્રમુખ ડો. જે.પી.દવે,સ્ટેટ મેનેજિંગ કમિટી મેમ્બર શ્રી મનીષ આચાર્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





