નર્મદા નદીના પુરના કારણે અસરગ્રસ્ત જલારામ હોસ્પિટલની રાજપીપલા પ્રાંત અધિકારીએ મુલાકાત લીધી
નર્મદા નદીના પુરના કારણે અસરગ્રસ્ત જલારામ હોસ્પિટલની રાજપીપલા પ્રાંત અધિકારીએ મુલાકાત લીધી
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા નદીમાં આવેલા ભારે પુરના કારણે વસંતપુરા તાલુકો ગરુડેશ્વરમાં નદી કિનારે આવેલ જલારામ હોસ્પિટલમાં બીજા માળ સુધી પાણી આવી જતા સાત લોકો ફસાયેલા હતા. જે તે સમયે ધ્યાનમાં આવતા પ્રાંત અધિકારી રાજપીપળાની તાત્કાલિક સૂચનાથી એનડીઆરએફ મારફતે મામલતદાર ગરૂડેશ્વરની લીડરશીપમાં તેઓને રેસ્ક્યુ કરવામાં આવેલા હતા.
હવે પૂરના પાણી ઓસર્યા છે પરંતુ નુકશાની છોડી ગયા છે આજરોજ પ્રાંત અધિકારી રાજપીપળા શૈલેષ ગોકલાણી, મામલતદાર મનીષભાઈ ભોઈ, તાલુકા વિકાસ અધિકારી ગરૂડેશ્વર રાઠવા અને પી.એસ.આઇ ગરુડેશ્વરને સાથે રાખીને જલારામ હોસ્પિટલ વસંતપુરાની મુલાકાત લેતા ધ્યાને આવેલ છે કે વસંતપુરાની આ હોસ્પિટલ ઘણા વર્ષોથી એકદમ ઓછી ફીમાં આદિવાસી વિસ્તારના ગરીબ લોકોની સેવા કરતી હતી . એકદમ નજીવા ખર્ચે આ વિસ્તારમાં ઓપરેશન, સાથે દર્દી અને તેમના સગાઓ ને રહેવા જમવાનું ફ્રી સાથેની સેવા આપતી હતી . આ પાણી આવવાના કારણે બીજા માળ સુધી પાણી ભરાઈ જતા સંપૂર્ણ હોસ્પિટલની દવાઓ, ગાદલા ઓપરેશન થિયેટર, દર્દીઓ માટેનું ગેસ્ટ હાઉસ, મફત રસોડા ની સામગ્રી, રહેવા માટેની વ્યવસ્થા, ટ્રસ્ટ ની ઓફિસ વગેરે સંપૂર્ણ નાશ પામેલ છે.
આ આદિવાસી વિસ્તારમાં રાહત દરે સેવા આપતી હોસ્પિટલ ફરીથી કઈ રીતે ચાલુ થઈ શકે તે બાબતે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ડોક્ટર સાથે ચર્ચા કરી હતી અને બહુ જ જલ્દીથી ચાલુ થાય એ માટે જરૂરી સહકારની ખાતરી આપી હતી