NANDODNARMADA

રાજપીપલાની જુની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વિનામૂલ્યે કેન્સર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

રાજપીપલાની જુની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વિનામૂલ્યે કેન્સર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

જિલ્લા આરોગ્ય વિભાગ, જનરલ હોસ્પિટલ-રાજપીપલા અને જયાબેન મોદી હોસ્પિટલ-અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે યોજાયો કેમ્પ

રાજપીપલા : જુનેદ ખત્રી

જુની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે ચાલી રહેલા અર્બલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં વિનામૂલ્યે કેન્સર નિદાન અને સારવાર કેમ્પ જિલ્લા આરોગ્ય વિભાગ, જનરલ હોસ્પિટલ-રાજપીપલા અને અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.

વિનામૂલ્યે કેન્સર નિદાન અને સારવાર કેમ્પના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, કેન્સર જેવી ગંભીર બીમારીને નાથવા માટે આપણે સૌ નાગરિકોએ જાગૃત થવું પડશે. ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતા કેન્સર પાછળ ગ્રામિણ વિસ્તારની મહિલાઓમાં જોવા મળતી જાગૃતિનો અભાવ પણ કારણભૂત બને છે. મહિલાઓ પોતાના બાળક અને પરીવાર માટે ઘણું કરી છુટે છે પણ તે પોતાના સ્વાસ્થ્ય માટે ક્યારેય કંઈ વિચારતી નથી. પોતાની નાની નાની સમસ્યાઓ કોઈને કહી શકતી નથી જેના કારણે મોટી બિમારીઓ શરીરમાં ઘર કરી જતી હોય છે. આવા સંજોગોમાં ગ્રામ્ય વિસ્તારના બહેનોને જાગૃત કરવા માટે આંગણવાડી કાર્યકર બહેનો ઉત્તમ માધ્યમ છે, ગ્રામિણ કક્ષાએ આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા નર્સિંગ સ્ટાફ આ કાર્યકર બહેનોની મદદ લઇને ગ્રામીણ વિસ્તારની મહિલાઓ સુધી આરોગ્ય લક્ષી ઉત્તમ સુવિધાઓ પહોંચાડવામાં ખૂબ સરળતા રહેશે.

કેન્સર જેવી ગંભીર બીમારીને વધતી અટકાવવા માટે જનજાગૃતિ એજ સૌથી મોટુ માધ્યમ છે. ખાસ કરીને ૧૫ થી ૩૫ વર્ષની વયની દીકરી/મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ મેળવવા માટે હવે વેક્સિનનો પણ ઉપયોગ થાય છે. જ્યારે જરૂરીયાત જણાય ત્યારે આ વેક્સિન માટે પણ ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને જાગૃતિ કરવી જરૂરી બની જાય છે. જેથી નર્મદા જિલ્લાને કેન્સર મુક્ત બનાવવા સૌ નાગરિકોને સાથે મળીને આ અભિયાનમાં જોડાઈને કેન્સરના રેશિયોને ઘટાડી શકાય તેમ છે. નર્મદા જિલ્લામાં સ્વાસ્થ્યને લગતી સરકારની સેવાઓને જન જન સુધી પહોંચાડીને ભગીરથ સેવાના કાર્યમાં સૌને સહભાગી થવા ધારાસભ્યએ અપીલ કરી હતી.

અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે યોજાયેલા આ કેન્સર નિદાન અને સારવાર કેમ્પમાં અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલના મેડીકલ ઓન્કોલોજીસ્ટ ડૉ. મનીષ જાની, ગાયનેક ઓન્કોલોજીસ્ટ ડૉ. હિમાલીબેન પટેલ અને ફિઝીસીયન ડૉ. કોમલબેન મખીજાની સહિત રાજપીપલાની જનરલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ ઉપસ્થિત રહી નિદાન અને સારવાર સાથે દર્દીઓનું કાઉન્સેલીંગ કર્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!