રાજપીપલા : ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા આયોજિત બાઈક રેલીનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગમન
“સમુદ્ર કે પ્રહરી – સરહદ સે સમંદર મોટર સાયકલ અભિયાન” અંતર્ગત અટારી બોર્ડરથી શરૂ થયેલી બાઈક રેલી 1 ફેબ્રુઆરીએ મુંબઈ પહોંચશે
રાજપીપલા : જુનેદ ખત્રી
ભારત દેશની દરિયાઈ સરહદોની સુરક્ષાથી લઈને દરિયામાં રાહત અને બચાવ કામગીરીની તમામ જવાબદારી દેશના તટરક્ષક દળ (કોસ્ટ ગાર્ડ) સંભાળે છે. દેશભરમાં “ભારતીય તટરક્ષક દળ દિવસ” દર વર્ષે ૧ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે દળના 49માં સ્થાપના દિવસના ઉપલક્ષમાં “સમુદ્ર કે પ્રહરી – સરહદ સે સમંદર મોટર સાયકલ અભિયાન” અંતર્ગત બાઈક રેલી યોજાઈ રહી છે. ગત તા. 22 જાન્યુઆરી, 2025ના રોજ અટારી વાઘા બોર્ડર ખાતેથી પ્રારંભ થયેલી બાઈક રેલી દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈને આજે શુક્રવારે વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે આવી પહોંચી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચેલી બાઈક રેલીનું કોસ્ટગાર્ડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના કમાન્ડર ટેકુર શશીકુમાર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ સ્વાગત કર્યું હતું. બાદમાં ફ્લેગ ઓફ કરી બાઈક રેલીને આગળના પ્રવાસ માટે રવાના કરી હતી. આ દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોસ્ટગાર્ડની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ગ્રામીણ ભારતને એક સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે યોજાઈ રહેલી આ બાઈ રેલી ગુજરાભરમાં પણ ભ્રમણ કરનાર છે. રસ્તામાં ભારતનું દિલ એટલે કે પ્રજાજનો સાથે જોડાઇને અનેકવિધ કાર્યક્રમો પણ કરવામાં આવનાર છે. બાઈક રેલીના માધ્યમથી ભારત સરકારના સંકલ્પો અંગે લોકોમાં જાગૃતિ વધારવા માટે એક અનોખો અવસર ઉભો કરશે. બાદમાં આ રેલી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી ભારતીય તટરક્ષક દળના સ્થાપના દિવસ 1 ફેબ્રુઆરી-2025ના રોજ મુંબઈ ખાતે પહોંચી તેનું સમાપન કરવામાં આવશે