
નર્મદા: સરકારી ગ્રાન્ટ બિન ઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરી દેતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કલેકટરની ચેમ્બર સામે ધરણા પર બેઠા
જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે: ચૈતર વસાવા
પાણી પુરવઠાની યોજનામાં 62 કરોડનો ખર્ચો કર્યો પરંતુ એક પણ ગામમાં પાણી પહોંચ્યું નથી: ચૈતર વસાવા
પ્રાયોજનામાં 275 કલમ હેઠળ 5 કરોડ 83 લાખના હમણાં જે કામો થયા છે એવું બતાવવામાં આવ્યું, પરંતુ સ્થળ પર કોઈ કામ થયા નથી: ચૈતર વસાવા
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે એકાએક આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બેઠકને છોડીને બહાર નીકળી ગયા અને કલેકટર ચેમ્બર બહાર ધરણા પર બેસી જતાં ભાગદોડ મચી હતી પોલીસ તંત્ર બનાવની ગંધ પારખી ગયું હતું અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લા કલેકટર કચેરી ને અગાઉથીજ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી
આ દરમિયાન તેમણે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતભરમાં ૪૧ જેટલા તાલુકાઓનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે, જેમાંથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકા પણ મારા વિસ્તારમાંથી આવે છે. જેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું, ત્યારબાદ અમારી મીટીંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને ડેડીયાપાડાના ૧૦૦ ખેડુતો અને સાગબારાના ૧૦૦ ખેડૂતો માટે સિંચાઇના બોરમોટરો મંજૂર કર્યા. પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને ૨૦-૨૦ લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે. તો તેમણે લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે.
આજે અમે અમારા કામોને સમાવવા માંગો છો કે કેમ તે સવાલ કર્યો પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આજે એકતાનગર કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી મોટી પ્રતિમા છે અને ત્યાં જે લોકોની જમીનો ગઈ છે, તેમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરે છે પરંતુ તેમની પાસે ભણવા માટે કોઈ છત નથી. મનરેગામાં મટીરીયલ પૂરું પાડવા માટે એજન્સીને જે સમય આપવામાં આવ્યો હતો તે પૂરું થઈ ગયો છે તેમ છતાં પણ તે જ એજન્સીને ફરીથી કામો સોંપ્યા છે. અને હમણાં જ ૨૨ કરોડ રૂપિયાના તેમના ચુકવણા થયા. આ સિવાય પ્રાયોજનામાં ૨૭૫ કલમ હેઠળ ૫ કરોડ ૮૩ લાખના હમણાં જે કામો થયા છે તેમ ચોપડે બતાવ્યા છે પરંતુ સ્થળ પર કોઈ કામ થયા નથી. પરંતુ કોઈ પણ અધિકારી તેના કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી. પાણી પુરવઠાની યોજનામાં ૬૨ કરોડનો ખર્ચો કર્યો પરંતુ એક પણ ગામમાં પાણી પહોંચ્યું નથી. આ તમામ મુદ્દા ઉપર આજે જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબને ચેમ્બરની સામે અમે ધરણા પર બેઠા છીએ તેમ જણાવ્યું હતું
જોકે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવાને તેઓના લોકહિતના કામોને આયોજનમાં સમાવવાની બાહેધરી આપી હતી ઉપરાંત જે ગેર રીતે આચરવામાં આવી છે તેની તપાસ થશે તેવી પણ બાહેધરી આપવામાં આવી હતી ત્યારબાદ ચૈતર વસાવા ધારણાથી ઉઠ્યા હતા





