
મોવી ચોકડીથી લઈને દેવળીયા સુધી ડિમોલેશનના નામે સરકારે ઝુંપડાઓ તોડ્યા: નિરંજન વસાવ

તાહિર મેમણ – ડેડીયાપાડા – 13/06/2026 – આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ ગંભીર મુદા પર મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, રાજપીપળા જકાતનાકા હોય કે વાવડી હોય અને આજે મોવી ચોકડીથી લઈને દેવળીયા સુધી ડિમોલેશનના નામે સરકાર નાના નાના રોજમદારોના ઝુંપડાઓ તોડી રહી છે અને પોલીસ પ્રશાસનને આગળ કરીને તેમને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે તો આ ખૂબ જ દુઃખદ બાબત છે. આપણે જોઈ શકીએ છીએ કે રાજપીપળા સિટીમાં પણ ઘણું બધું દબાણ છે, મોટા મોટા બિલ્ડરો અને દુકાનોનું ત્યાં ખૂબ જ દબાણ છે. રાજપીપળાના રસ્તા પણ પહોળા કરવાનો વારંવાર સૂચનો આપવામાં આવે છે તેમ છતાં રાજકીય નેતાઓ અને તેમના આગેવાનો દ્વારા ત્યાં ડિમોલિશનની કામગીરી કરવા દેવામાં આવતી નથી. જ્યારે બીજી બાજુ આ ગરીબ લોકો જે દિવસના 200-500 રૂપિયા કમાય છે, ઘણી બહેનો વિધવા છે, ઘણા લોકો પાસે ખેતી નથી રોજગારી નથી, નાનું મોટું વ્યવસાય કરે છે એવા લોકો 20-25 વર્ષથી અહીંયા રહે છે એમના ઝુંપડાઓ આજે તોડી નાખવામાં આવે છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, અમારી પ્રશાસન સમક્ષ એટલી જ માંગ છે કે આ લોકો માટે પાંચ બાય 10 અથવા તો 10 બાય 15ની દુકાનની ફાળવણી કરે. કારણ કે આ લોકો 25 વર્ષથી પોતાની રોજીરોટી કમાય છે અને એમના ત્યાં ડિમોલેશન કરવામાં આવ્યું છે તો સરકારને વિનંતી છે કે આ લોકો માટે સરકારી વ્યવસ્થા ઉભી કરે કે એમણે તાત્કાલિક રોજગારી મળી રહે. તો સરકાર આવી વ્યવસ્થા ઊભી નહીં કરે તો આવનાર દિવસોમાં આ તમામ પ્રજાને સાથે રાખીને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીને કલેકટર કચેરી અથવા આ રોડનો ઘેરાવો કરીશું. અહીંયા ઘણા દુકાનદારોને ખેડૂતોની પણ રજૂઆતો આવી છે કે જે ખેડૂતોની જમીન અહીંયા જઈ રહી છે તેમને આજ દિન સુધી કોઈ વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી અને કોઈ નોટિસો પણ આપવામાં આવી નથી. એવા લોકોને જમીનો પણ સરકાર ડિમોલિશનના નામે લઈ રહી છે. જ્યારે અહીંયા ફોર લેન રસ્તો બનાવવામાં આવ્યો ત્યારે પણ આ લોકોને યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી. અને હજુ પણ અહીંયા રસ્તા પહોળા કરવાની વાત થઈ રહી છે જે વાત તદ્દન ખોટી છે. જો આ ખેડૂતોને અને દુકાનદારોને ન્યાય નહીં મળે તો દેવળીયાથી લઈને મોવી સુધીના દુકાનદારો અને ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે કલેકટર કચેરી અથવા તો જકાતનાકાનો ઘેરાવો કરીશું.



