
નર્મદા : સાગબારા ખાતે સરકારી કાર્યક્રમમાં અવગણના થતા ધારાસભ્ય ચૈતર વસાવાએ મંત્રી સહિત અધિકારીઓનો ઉઘાડો લઈ નાખ્યો
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના સાગબારા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ને આમંત્રણ નહીં આપતા વિવાદ થયો હતો ધારાસભ્ય ચૈતર વસાવા પોતાની જાતેજ કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા તેમણે મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, કલેક્ટર અને અધિકારીઓની ઉપસ્થિતિમાં જાહેરમાં ઉઘાડો લઈ નાખ્યો
ચૈતર વસાવાએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં સરકારના મંત્રી અને સાંસદ પોતે બેઠા છે તો હું કહેવા માગું છું કે મારા વિસ્તારમાં આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પરંતુ કલેક્ટર કે પ્રાંત અધિકારી સહિત કોઈએ મને શા માટે આમંત્રણ આપ્યું નહીં? આ વિસ્તારનો ધારાસભ્ય છું, તેમ છતાં પણ મને કોઈએ ફોન કરીને કે પત્રિકા આપીને જાણ કરી નથી, આ બાબતે ખુલાસો કરવામાં આવે. કારણ કે આ મારું નહીં પરંતુ મારી જનતાનું અપમાન છે. કોઈ પત્રિકામાં મારું નામ છાપે અથવા તો કોઈ તકતીમાં મારું નામ છપાય તો જ હું કાર્યક્રમમાં આવું એવો માણસ નથી. મને મારા એક સરપંચે કહ્યું કે “આટલો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે, માટે તમારે આવવું પડશે” તો એમની વાત સાંભળીને હું આવ્યો છું.
ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેકટર સહિતના અધિકારીઓને સવાલ કરતા કહ્યું કે, હું કલેક્ટરને પૂછવા માગું છું કે અમારાથી શું તકલીફ છે? શા માટે અમને આમંત્રણ આપવામાં આવતું નથી? તમારું વહીવટી તંત્ર શું ધંધા કરે છે, એ બધી અમને ખબર છે. હમણાં પ્રધાનમંત્રી મોદી આવ્યા હતા, એમાં અમારા આદિજાતિ વિકાસના કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. અમે જ્યારે સવાલ પૂછીએ તો ત્યારે તમને નડીએ છીએ? જનતાના ટેક્સના પૈસાનો પગાર મને પણ મળે છે અને તમને પણ મળે છે, કલેક્ટરથી લઈને તલાટી સુધી તમે બધા જનતાના નોકર છો અને અમે સેવક છીએ. અમને અધિકાર આપવામાં આવ્યા છે અને અમે પ્રતિનિધિ છીએ. જનતાના પ્રતિનિધિને શા માટે આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા ન હતા? કોઈના કમલમના પૈસાથી આ બિલ્ડીંગ નથી બની. અમે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છીએ પરંતુ અમારો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવે છે.
લોકોએ મને જનપ્રતિનિધિ તરીકે પસંદ કર્યો છે અને મારા મત વિસ્તારમાં આવો કાર્યક્રમ થાય છે પરંતુ મારી અવગણના કરવામાં આવે છે, તો એ મારી અવગણના નથી પરંતુ મારી જનતાની અવગણના છે. અવારનવાર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ આ પ્રકારની અવગણના કરીને અમને ઉશ્કેરવાનું કામ કરે છે. તક્તિમાં કે કાર્ડમાં મારું નામ નથી એનાથી મને કોઈ ફરક પડતો નથી કારણ કે અમે લોકોના મનમાં અને દિલમાં વસીએ છીએ. અમને જે બંધારણીય અધિકારો મળ્યા છે, તે પ્રમાણે પ્રોટોકોલ જળવાવું જોઈએ, એ મુદ્દે અમે સૂચન પણ કર્યું છે. સરકારના મંત્રીએ અધિકારીઓનું પણ આ બાબતે ધ્યાન દોર્યું છે. આ કાર્યક્રમમાં જે ભૂલ થઈ એ કલેક્ટર અને પ્રાયોજનાની ભૂલ છે અને આવનાર દિવસોમાં અમે ખુલાસો માંગીશું. અમારા સ્વાભિમાન પર કોઈ પણ વાત આવશે તો અમે સહન કરીશું નહીં.






