
નર્મદા: નર્મદે હરના જય ઘોષ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ : ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસથી જ શ્રદ્ધાળુઓ ઉમટ્યા
આજથી શરૂ થયેલી આ ૧૪ કિ.મી.ની ઉત્તરવાહિની પરિક્રમાનું ભાવિકોમાં અનેરૂં મહાત્મ્ય
રાજપીપલા : જુનેદ ખત્રી
પુણ્ય સલિલા માં નર્મદાના પાવન તટ પર નર્મદા જિલ્લામાં ચૈત્ર માસમાં થતી ઉત્તરવાહિની પરિક્રમાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થાઓ પરિક્રમાર્થીઓ માટે ગોઠવવામાં આવી છે. ત્યારે આજે ૧૯મી માર્ચે સાધુ સંતો-ભાવિકો- પરિક્રમાર્થીઓએ પ્રાત:કાળે માં રેવાના દર્શન અને પુષ્પાર્પણ કરી નર્મદે હરના જય ઘોષ સાથે આ પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. વૃધ્ધો, બાળકો, મહિલાઓ સહિત શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અલૌકિક આધ્યાત્મિક યાત્રાનો અનુભવ કર્યો હતો. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ ઉમટી પડ્યાં હતાં.
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પરિક્રમાર્થીઓ માટે નદી કિનારે ગોઠવવામાં આવેલી વ્યવસ્થાઓની નોંધ ભાવિકો પણ લઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓને ક્યાંય મુશ્કેલી ન પડે તે માટે સમગ્રતયા ગોઠવવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. નોંધનીય છે કે, દર વર્ષે ભાવિકભક્તોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુવિધા અને સ્વાસ્થ્યને કેન્દ્રસ્થાને રાખીને વ્યવસ્થાઓ વધુ સુંદર બનાવી છે. પરિક્રમાર્થીઓની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
સુરતથી આવેલા હેમાલીબેન જરીવાલાએ જણાવ્યું કે, હું છેલ્લા ચાર વર્ષથી માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા અર્થે આવું છું. મારા અનુભવો જાણીને મારી બહેનો સાથે જોડાઈ, ધીમે ધીમે પરિવાર અને સોસાયટી સહિત અન્ય લોકો જોડાતા ગયા અને આજે અમે આખી બસ લઈને આવ્યા છીએ. ચૈત્ર નવરાત્રિના પ્રારંભે પ્રથમ દિવસે પરિક્રમા કરી માં નર્મદાના તટ પર ગરબા કરવાનો અવસર પ્રાપ્ત થયો તેની પાછળનું એકમાત્ર કારણ ગુજરાત સરકાર અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે સુવિધાઓ પરિક્રાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે તે ખૂબ જ સારી છે.
મહારાષ્ટ્રના અમરાવતીથી નાના બાળકોને સાથે લઈને પરિક્રમા અર્થે આવેલા વિદ્યા મૂળેએ જણાવ્યું કે, અમે પ્રથમ વખત આ પરિક્રમા કરવા માટે આવ્યા છીએ. મારા માતા-પિતા મારફત આ પરિક્રમાનો મહિમા સાંભળ્યો હતો. ઈન્ટરનેટના માધ્યમથી પણ આ પરિક્રમાની જાણકારી મેળવી હતી. અહીં આવ્યા પછી અમને લાગ્યું કે, શ્રદ્ધાળુઓ માટેની જે સુવિધા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય છે. પરિક્રામાર્થીઓની તમામ પ્રકારની કાળજી અહીં તંત્ર દ્વારા લેવામાં આવે છે. અમે પરિવાર-બાળકો સાથે આવ્યા છીએ ત્યારે નદી પાર કરવા માટે બોટની જે સુવિધા છે તે ખૂબ જ સારી લાગી, બાળકોને તેમાં ખૂબ આનંદ આવ્યો.
શહેરાવ- તિલકવાડા ઘાટ પર કામ ચલાઉ બ્રિજ અને રેંગણ-રામપુરા ઘાટ વચ્ચે અત્યાધૂનિક સુવિધાથી સજ્જ બોટની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ આકસ્મિક ઘટના નિવારવા માટે સ્પીડ બોટ્સ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. વધુમાં શરૂઆતથી અંત સુધી આ પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચારેય ઘાટ પર પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સતત ફરજ બજાવી રહ્યા છે.





