GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અને પેટન્ટ’ વિષય પર રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અને પેટન્ટ’ વિષય પર રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખા હેઠળના અક્ષય ઉર્જા અને ઇજનેરી વિભાગ દ્વારા સંચાલિત “AICRP on PEASEM” યોજના અને ICAR-નેશનલ રીસર્ચ સેન્ટર ઓન યાક (અરુણાચલ પ્રદેશ) ના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૨૦-૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન “ઈંટલેકચુઅલ પ્રોપર્ટી રાઈટ અને પેટન્ટ ઇન એગ્રીકલ્ચર” વિષય પર બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમમાં દેશના વિવિધ રાજ્યોના વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કૃષિ ક્ષેત્રે આધુનિક તકનીકોને પેટન્ટ દ્વારા કઈ રીતે સુરક્ષિત કરી શકાય તે અંગે તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ભારત સરકારના પૂર્વ પી.પી.વી. અને એફ.આર.એ. તેમજ યુ.એ.એસ. ધારવાડના પૂર્વ કુલપતિ ડો.આર.આર.હનચીનાલએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં માત્ર સંશોધન કરવું પૂરતું નથી, પરંતુ તેનું પેટન્ટ કરાવવું પણ એટલું જ જરૂરી છે. તેમણે આઈ.પી.આર.ના વિવિધ પાસાઓ જેવા કે જી.આઈ. ટેગિંગ, ડિઝાઇન રજીસ્ટ્રેશન અને કોપીરાઇટ વિશે જાગૃતતા કેળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે આહવાન કર્યું હતું કે, આ જ્ઞાન માત્ર પ્રાધ્યાપકો સુધી સીમિત ન રહેતા વિદ્યાર્થીઓ સુધી પહોંચવું જોઈએ, જેથી ‘વિકસિત ભારત’ના સંકલ્પમાં યોગદાન આપી શકાય.કાર્યક્રમના અધ્યક્ષ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો.એ.જી.પાનસુરીયાએ યુનિવર્સિટીની સંશોધન પ્રવૃત્તિઓનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દર વર્ષે ૭ થી ૮ નવી પાક જાતો અને ખેડૂત ઉપયોગી તકનીકો વિકસાવે છે, જે અંતર્ગત દર વર્ષે ૨ થી ૩ પેટન્ટ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે.આ પ્રસંગે પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ડો. રાકેશ શારદાએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વ ટેકનોલોજી સાથે બદલાઈ રહ્યું છે ત્યારે આપણે પણ તાલ મિલાવવો પડશે. તેમણે જૂનાગઢ સેન્ટરને બે ડિઝાઇન રજીસ્ટ્રેશન પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કૃષિ ઇજનેરી વિદ્યાશાખાના ડીન ડો. એચ. ડી. રાંકે મહાનુભાવોનું સ્વાગત કરી ખેડૂતોને કૃષિ ઇજનેરી સંશોધનોથી થતા ફાયદાઓ વિશે માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં આઈ. ટી. નિયામક ડો.કે.સી.પટેલ, બાગાયત ડીન ડો.ડી.કે.વરુ અને પી.જી.આઈ.એ.બી.એમ. ના પ્રિન્સીપાલ ડો.સી.ડી.લખલાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી.ચોવટિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. અંતમાં રીસર્ચ ઇજનેર ડો.એસ.વી.કેલૈયાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડો.વિજય પોલ, ડો.એમ.એસ.દુલાવત અને ડો.એસ.પી.ચોલેરા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!