નવસારી: આગામી ૨૭/૦૨ થી ૧૭/૩/૨૦૨૫ સુધી ધો. ૧૦-૧૨ વિજ્ઞાન/સામાન્ય પ્રવાહની જાહેર પરીક્ષા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા..
નવસારી તા.૧૮ -ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આગામી તા. ૨૭/૦૨/૨૦૨૫ થી તા. ૧૭/૦૩/૨૦૨૫ સુધી ધો. ૧૦-૧૨ વિજ્ઞાન/સામાન્ય પ્રવાહની જાહેર પરીક્ષાનું નવસારીમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિઓ ન થાય, પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે, તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે તેમજ મુકત, ન્યાયી અને સરળ સંચાલન માટે અને પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે.
જાહેરનામા અંતર્ગત નવસારી જિલ્લામાં નકકી કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગની હદથી ૧૦૦ મીટરનાં ઘેરાવાના વિસ્તારમાં ચાર કે તેથી વધારે વ્યક્તિઓને ભેગા થવા, સભા ભરવા, સરઘસ કાઢવા, કોઈ પણ વ્યક્તિએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર, મોબાઈલ ફોન તથા પરીક્ષામાં મદદરૂપ થાય તેવા કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા ઉપર કે લાઉડ સ્પીકર વગાડવા કે અવાજ મોટો કરવાનું કોઈ યંત્ર વગાડવા ઉપર તથા પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેક્સ કેન્દ્રો તા. ૨૭/૦૨/૨૦૨૫ થી તા. ૧૭/૦૩/૨૦૨૫ સુધી રોજ સવારે ૦૮-૦૦ કલાક થી સાંજે ૨૦-૦૦ કલાક સુધી ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત નીચેના કૃત્યો પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે:
(૧) અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓએ પ્રતિબંધિત પરીક્ષા કેન્દ્ર/બિલ્ડીંગના વિસ્તારમાં દાખલ થવું નહીં
(૨) કોઈપણ ઈસમે, કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધા કે આડકતરી રીતે મદદગારી કરવી નહીં.
(૩) પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ-વિક્ષેપ-ધ્યાનભંગ થાય તેવું કોઈપણ કૃત્ય કરવું/ કરાવવું નહીં.
(૪) પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી પ્રતિબંધિત કોઈપણ વસ્તુ, ઈલેક્ટ્રોનિક આઈટમ, મોબાઈલ ફોન, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલો વગેરેનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં.
જો કે, પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાની સંચાલન કાર્યવાહીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ/અધિકારીઓ; જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ અધિક્ષકશ્રી/જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આ અર્થે અધિકૃત કરે તેવી બીજી વ્યક્તિઓ તેમજ લગ્નના વરઘોડા કે સ્મશાનયાત્રા તેમજ પરીક્ષાની કામગીરી માટે રોકાયેલા અધિકૃત વ્યક્તિઓને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.


