Navsari: લખપતિ દીદી સન્માન સમારોહ: નવસારીના વાંસી બોરસીમાં યોજાનારા ભવ્ય કાર્યક્રમને આખરી ઓપ અપાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરીમામય ઉપસ્થિતિમાં નવસારીના વાંસી બોરસી ખાતે વિશ્વ મહિલા દિને તા. 8 માર્ચે લખપતિ દીદી સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના નેતૃત્વમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ચૂક્યો છે. સભા મંડપમાં વીજ પુરવઠો પુરો પાડવા માટે 12 કિમી લાંબી વીજ લાઈન પણ નાંખવામાં આવી છે. બેકઅપ માટે જનરેટરો પણ ઉપલબ્ધ કરાવાયા છે. 
લખપતિ દીદી સન્માન સમારોહ કાર્યક્રમમાં સહભાગી થનાર 1 લાખ મહિલાઓ માટે 1350 જેટલી એસટી બસની પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એક બસમાં 50 મુસાફરોની કેપેસીટી પ્રમાણે અંદાજે 67500 જેટલી મહિલાઓ સીધો બસનો ઉપયોગ કરશે. સભા સ્થળે આવવા જવા માટે આ સિવાય ખાનગી વાહનો પણ ઉપયોગમાં લેવાશે. વલસાડ એસટી વિભાગીય કચેરીના નિયામકશ્રી એન.એસ.પટેલે જણાવ્યું કે, 3 જિલ્લામાં 54 એસટી બસ અલગ રાખી છે. જે મુખ્ય રૂટ અને એકસ્ટ્રા રૂટ પર દોડશે. જેથી રોજીંદા મુસાફરોને કોઈ મુશ્કેલી પડશે નહી. આ સિવાય હાલમાં ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે તેને પણ ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓની પણ એક પણ ટ્રીપને ખલેલ પહોંચાડયા વિના આ બસોનું આયોજન કર્યુ છે. વિદ્યાર્થીઓથી માંડીને રોજીંદા મુસાફરોને કોઈ તકલીફ પડશે નહી.
સામાન્ય પ્રજાને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગ, આરોગ્ય, વોશરૂમ, ભોજન, પીવાનું પાણી સહિત સમગ્ર બાબતનું સૂક્ષ્મ આયોજન અને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
*બોક્ષ મેટર*
*ચાર ડોમમાં 1 લાખ મહિલાઓ માટે 20 એલઈડી લગાવવામાં આવી*
લખપતિ દીદી સન્માન સમારોહમાં 1 લાખ મહિલાઓ સભા સ્થળે ઉપસ્થિત રહેનાર હોય ચાર ડોમ બનાવવામાં આવ્યા છે. આ તમામ ડોમમાં 8 ફૂટ લંબાઈ અને 12 ફૂટ પહોળાઈની 20 એલઈડી લગાવાવમાં આવી છે. જ્યારે સ્ટેજની સમારંત આજુ બાજુમાં મોટા કદની બે એલઈડી લગાવવામાં આવી છે. જેના પરથી મહિલાઓ કાર્યક્રમને એકદમ નજીકથી નિહાળી શકશે.



