નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટેની ગાંધી ગ્રામ જીવન પદયાત્રા યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
મહાત્મા ગાંધીજીએ ૧૯૨૦માં સ્થાપેલ ગૂજરાત વિધ્યાપિઠ અમદાવાદ દ્વારા ૨૦૦૭થી ગાંધી ગ્રામજીવન પદયાત્રાની શરૂઆત કરવામાં આવી. ગૂજરાત વિધ્યાપીઠના કુલાધિપતિશ્રી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ તેમજ પ્રાકૃતિક ખેતીના હિમાયતી મહામહીમ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ વિધ્યાપીઠ ના ધ્યેય અને મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને આવરી લઈને આ વર્ષે ત્રણ દિવસ સમાજ સંપર્ક અને ત્રણ દિવસ પદયાત્રા એમ છ દિવસની પદયાત્રા કરવામાં આવી. વિધ્યાપીઠના સેવકો અને વિધ્યાર્થીઓ મળી ૧૮૪૩ પદયાત્રીઓની ૧૫૧ ટુકડી દ્વારા ગુજરાતનાં ૧૮૦૦ જેટલા ગામડાઓને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું.
ગુજરાતમાં વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી હાલોલ દ્વારા સંશોધન, શિક્ષણ અને વિસ્તરણની કામગીરી લોકભાગીદારી સાથે સરકારશ્રીના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને કરવામાં આવે છે. જેના પરિણામે ગુજરાતમાં ૧૦ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરેલ છે. નવસારી જિલ્લામાં ગુજરાત વિધ્યાપીઠના અર્થશાસ્ત્ર વિભાગના પદયાત્રીઓની ટુકડીઓ સાથે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના પ્રતિનિધિ ડૉ. કાળુભાઇ ડાંગર સહભાગી થયા હતા જેમાં પદયાત્રી ટીમ સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમ યોજાયો. પછીથી ગામના ખેડૂતો સાથે મુલાકાત કરવામાં આવી. જેમાં વર્તમાન પરિસ્થિતિ અને પ્રશ્નોના સંદર્ભમાં ધરતીમાતા અને માનવીય તંદુરસ્તી, પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો, પાક સંરક્ષણના ઉપાયો મિટિંગ, રેલી, પ્રદર્શન સભા જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી.




