Navsari: જાગૃત મતદાર એ સશક્ત લોકશાહીનો આધારસ્તંભ છે.- નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
*મતદાન માટે અપીલ કરતા નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા*
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં મતદારોને આગામી ૭મી મેના રોજ મતદાન કરવા જિલ્લા ચૂંટણી તંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. વિવિધ માધ્યમો થકી મતદાન માટે સંદેશો પહોચાડી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાએ મતદારો માટે સંદેશ પાઠવ્યો હતો.
તમામ મતદાતાઓને મતદાન માટે અપીલ કરતા નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાએ જણાવ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે, આગામી ૭મી મે,મંગળવારના રોજ નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણીને અનુસંધાને મતદાન યોજાનાર છે. આ અવસરે હું પોતે પણ મતદાન કરીશ અને આપ સૌને પણ વિનંતી છે કે, સહપરિવાર મતદાન કરશો. અને દેશની લોકશાહીને સશક્ત બનાવવામાં યોગદાન આપશો.
વધુમાં તેમણે જાગૃત મતદાર એ સશક્ત લોકશાહીનો આધારસ્તંભ છે. એમ ઉમેરી ચૂંટણીને આપણા દેશનો મહાપર્વ ગણાવ્યો હતો. તેમણે આ મહાપર્વની ઉજવણીમા ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા અને મતદાન કરવા જાહેર અપીલ કરી હતી.