નવસારી: જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં મટવાડ ગામથી પ્રાર્થના મંદિર દાંડી સુધી યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ધારાસભ્ય આર.સી.પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવીને યુનિટી માર્ચ પદયાત્રાનો શુભારંભ કરાવ્યો
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે તેમની અવિસ્મરણીય રાષ્ટ્રીય સેવાઓનું સ્મરણ કરવા માટે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિધાનસભા મતવિસ્તારમાં યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ૧૭૪ જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં મટવાડ ગામથી પ્રાર્થના મંદિર દાંડી સુધી જલાલપોર વિધાનસભા વિસ્તારની યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ હતી. મટવાડ ગામના શહીદ સ્મારક પર ધારાસભ્ય શ્રી આર સી પટેલ સહિતના મહાનુભાવોએ શ્રધાંજલિ અર્પી સાથે સરદાર પટેલની પ્રતિમાને વંદન કરીને લીલી ઝંડી બતાવીને યુનિટી માર્ચ પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.
આ પદયાત્રામાં ‘સરદાર પટેલ, અમર રહો’ જેવા નારાના નાદ સાથે યુવાનો સહભાગી બન્યા હતા. આ પદયાત્રા મટવાડ- સામાપોર થઇ પ્રાર્થના મદિર દાંડી સુધી પહોંચી હતી ત્યાં રસ્તામાં આવતા દરેક સ્થળોએ ફૂલોથી ગ્રામજનોએ પદયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પદયાત્રામાં દેશની અખંડિતા તથા સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન તથા વેગવંતુ બનાવવા માટે મહાનુભાવો સહિતના સર્વે લોકોએ શપથ ગ્રહણ કર્યા હતા. આ પદયાત્રામાં જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખશ્રી નીલમબેન પટેલ , નવસારી સંગઠન પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ , જલાલપોર મામલતદારશ્રી મૃણાલ ઇસરાની , તાલુકા વિકાસ અધિકારીશ્રી ધવલ પટેલ તેમજ વહીવટીતંત્રના કર્મચારીઓ , વિદ્યાર્થીઓ, યુવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





