નવસારી મહાનગરપાલિકાના દ્વારા વેરાની બાકી રકમ ન જમા કરનારા વેરાદારોની ૭ કોમર્શિયલ મિલકતો સીલ કરી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત આજે શહેર વિસ્તારમાં આવેલ કુલ ૭ કોમર્શિયલ મિલકતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા બાકી વેરા ધારકોમાં ફફડાટ ફેલાયો છે. આ મિલકતો સીલ કરવાથી પહેલા અનેક વાર નોટિસ આપવામાં આવ્યા છતાં પણ મિલકતધારકો દ્વારા બાકી વેરાની રકમ જમા ન કરાતા કડક વલણ અપનાવી કાયદેસરની પ્રક્રિયા અનુસરી મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વેરા વિભાગની ટીમ દ્વારા લુન્સીકુઈ અને આસપાસના (વોર્ડ ન. ૧૩) કોમર્શિયલ ઝોન વિસ્તારમાં ચકાસણી કરીને બાકીદાર મિલકતોની ઓળખ કરવામાં આવી હતી. સંબંધિત મિલકતો પર જાહેર ચેતવણી નોટિસ લગાવી સીલ મારવામાં આવ્યા હતા. આ મિલકતો પર લાંબા સમયથી મિલકતવેરો બાકી હતો અને અનેક વખત મૌખિક તેમજ લેખિત યાદ અપાવ્યા છતાં ચૂકવણી કરવામાં આવી ન હોતી. નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે બાકી વેરો વસૂલ કરવા માટે આ પ્રકારની કામગીરી સતત ચાલુ રહેશે. બાકીદારોને અંતિમ તક તરીકે તાત્કાલિક બાકી રકમ ભરપાઈ કરી મિલકત અનસીલ કરાવવા સૂચના આપવામાં આવી છે. જો નિયત સમયમર્યાદામાં ચૂકવણી નહીં કરવામાં આવે તો આગળની વધુ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.નવસારી મહાનગરપાલિકા તમામ મિલકતધારકોને અનુરોધ કરે છે કે તેઓ સમયસર વેરો ભરપાઈ કરી નગર વિકાસમાં સહભાગી બને. વધુ માહિતી અથવા સહાય માટે વેરા વિભાગ, નવસારી મહાનગરપાલિકાનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.




