સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ વિસ્તારનો વિકાસ થયો પરંતુ જિલ્લાના મુખ્ય મથક રાજપીપલાનો વિકાસ રૂંધાયો !?
રાજપીપલા અંકલેશ્વર રેલવે લાઈન પુનઃ શરૂ કરવા વેપારીઓની માંગ
રાજપીપલા : જુનેદ ખત્રી
રજવાડી નગરી રાજપીપલા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામ્યું છે ત્યારે અહીંયા રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે વિકાસની હરણફાળ ગતિ વચ્ચે નર્મદા જીલ્લાનું મુખ્ય મથક રાજપીપલા વિકાસથી વંચિત થઈ રહ્યું છે જેથી અહીંના સ્થાનિક લોકો અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે
નર્મદા જિલ્લો ઇકો સેનસીટિવ જિલ્લો છે અહીંયા લોકોનું જીવન મોટાભાગે ખેતી ઉપર નભે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ બહારથી પ્રવાસીઓ રાજપીપળામાં આવશે અને રોજગાર ધંધા વધશે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા હતા પરંતુ જાણે રાજપીપળાના વિકાસને કોઈની નજર લાગી હોય તેમ વિકાસ બાયપાસ જઈ રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના મુખ્ય રસ્તાઓ બરોબર ગામની બહારથી જઈ રહ્યા છે ઉપરાંત કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કરોડોના ખર્ચે નિર્માણ પામેલ રાજપીપલા અંકલેશ્વર બ્રોડ ગેજ રેલવે લાઈન બંધ થઈ જતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે
હાલમાંજ કેવડિયા નજીક તિલકવાડા તાલુકામાં એરપોર્ટ બનાવવાનો પ્રસ્તાવ પસાર થયો છે જેનો સર્વે પણ શરૂ કરાયો છે ત્યારે રાજપીપળામાં સ્ટેટ સમયનું એરપોર્ટ સ્થળે અગાઉ એર સ્ટ્રીપ બનાવવાનું આયોજન થયું હતું પરંતુ એ પ્રોજેક્ટ પણ કેન્સલ થતાં રાજપીપળાના સ્થાનિક રહીશો વેપારીઓ માં રોષ ફેલાયો છે સરકાર રાજપીપલા ના સ્થાનિકોની વાતને ધ્યાને લઈ રાજપીપલા અંકલેશ્વર રેલવે શરૂ કરે તેવી માંગ ઉઠી છે
• રાજપીપળામાં ટિકિટ રિઝર્વેશન બારી હતી એ પણ બંધ થઈ ગઈ
કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણ રાઠવાના હસ્તે ૨૦૦૬ ની સાલમાં રિઝર્વેશન ટિકિટ બારી શરૂ કરાઇ હતી જેનો રાજપીપલા સહિત આસપાસના ૩૦ ૪૦ કિમી સુધીના ગ્રામજનો લાભ લેતા હતા ત્યારે એકતાનગર રેલવે શરૂ થતાં રિઝર્વેશન ટિકિટ બારી પણ બંધ કરી દેવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે
• pmo સુધી રજૂઆત છતાં કોઈ નિકાલ નહિ
સમગ્ર મામલે રાજપીપળા કાપડ એસોસિએશનના પ્રમુખ કૌશલ કાપડિયાએ જણાવ્યું હતું કે રેલ્વે લાઈન બંધ થવાથી રાજપીપળાના નગરજનોને મોટું નુકસાન થયું છે 800 કરોડના ખર્ચે બનાવેલ બ્રોડગેજ રેલ્વે લાઈન થોડાક જ સમયમાં બંધ કરી દેવામાં આવી તેને શરૂ કરવા માટે 2020 થી સ્થાનિક લેવલથી પીએમઓ સુધી વારંવાર રજૂઆતો કરી છતાં પણ આ બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી રાજપીપળા ને કેમ વિકાસથી વંચિત રાખવામાં આવે છે ? તેવા વેધક સવાલો ઉઠાવ્યા છે
• રાજપીપલા સ્ટેટ સમયે ઓવારા પાસે એર સ્ટ્રીપ હતી તે જગ્યાએ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ સહિતની હસ્તીઓ પ્લેન લઈને આવ્યા હતા એ જગ્યાએ એર સ્ટ્રીપ વિકસાવવા સર્વે પણ કરાયો પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ૧૨ કિમી તિલકવાડા તાલુકા માં એરપોર્ટ બનાવવાની કવાયત હાથ ધરાઇ રહી છે જે દુઃખદ છે રાજપીપલા ને વિકાસથી કોણ વંચિત રાખી રહ્યું છે તે સમજાતું નથી ? : પંકજભાઈ શાહ વેપારી