Rajkot: પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ

તા.૨૩/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
યુવાઓને ડ્રગ્સના વ્યસનથી દૂર રાખવા સિગારેટ, તંબાકુ જેવા વ્યસનો પહેલેથી જ અટકાવવા જરૂરી: પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા
Rajkot: રાજ્યમાં ડ્રગ્સના વેચાણ, સેવન કે ઉત્પાદન પર કડક હાથે કામગીરી કરી લોકોને આ દુષણથી બચાવવા રાજ્ય સરકાર સક્રિયપણે કામગીરી કરી રહી છે. સાથોસાથ દરેક જિલ્લામાં નાર્કોટિક્સ કંટ્રોલ અર્થે વિવિધ વિભાગની એન્કોર્ડ (નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની) કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ શહેરમાં ગત માસમાં એન્ટી ડ્રગ્સ કેમ્પઇન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષાર્થે પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી.
પોલીસ કમિશનરશ્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે યુવાઓમાં વ્યસનની શરૂઆત સિગારેટ, તમાકુના સેવન સાથે થતી હોઈ છે, જે આગળ જતા મોટા નશાકારક ડ્રગ્સમાં પરિણમતી હોઈ તેઓને ડ્રગ્સના દુષણથી બચાવવા પ્રારંભથી જ અટકાવવા જરૂરી છે. શ્રી બ્રજેશકુમારે શાળા કોલેજના ૧૦૦ મીટર વિસ્તારમાં સિગારેટ, તમાકુ સંબંધિત પદાર્થો વેંચતા દુકાનદારો વિરુદ્ધ કડક હાથે કામ લેવા જવાબદાર વિભાગોને સૂચના આપી હતી. સાથોસાથ યુવાઓમાં ડ્રગ્સની કુટેવ ના પડે તે માટે વધુને વધુ જનજગૃતિના કાર્યક્રમો હાથ ધરવા કોલેજ અને યુનિવર્સટીના નોડેલ અધિકારીઓને સૂચન કર્યું હતું.
હાલમાં અંકલેશ્વરમાં ડ્રગ્સ બનાવતી ફેકટરીઓ ઝડપાઇ હોઈ સતર્કતાના ભાગરૂપે રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કેમિકલ અને ડ્રગ્સ બનાવતી કંપનીઓ પર ધ્યાન રાખવા સંબંધિત વિભાગના અધિકારીઓને પોલીસ કમિશનર શ્રી એ સૂચના આપી હતી. આ તકે અમદાવાદ એન.સી.બી. વિભાગમાંથી જોડાયેલા અધિકારીએ આ સંદર્ભે વિગતો પુરી પાડી આગળ કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
ડી.સી.પી. ક્રાઈમ શ્રી પાર્થરાજસિંહ ગોહિલે એસ.ઓ.જી. વિભાગ દ્વારા ગત માસમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ડ્રગ્સ વેચાણ કરતા લોકો વિરુદ્ધ કરવામાં આવેલા કેસ તેમજ કોપટા એક્ટ અન્વયે તંબાકુ વેચાણ સંદર્ભે દુકાનદારો સામે કરવામાં આવેલી કામગીરીની માહિતી પુરી પાડી હતી.
ડ્રગ્સ વિરુદ્ધ જનજાગૃતિ અર્થે ગત માસમાં સાયક્લોથોન, પોલીસ વિભાગની ‘‘શી’’ટીમ દ્વારા નવરાત્રીમાં જનજાગૃતિ કાર્યક્રમ, પ્રાંત વિભાગ દ્વારા નસબંધી વીભાગ સાથે મળીને સેમિનાર, સિવિલ હોસ્પિટલ દ્વારા બેનર્સ અભિયાન, વિવિધ યુનિવર્સટીમાં કોલેજમાં સેમિનાર અને બેનર્સ કેમ્પઇન સહિતના કાર્યક્રમોની વિગત શ્રી પાર્થરાજસિંહએ પૂરી પાડી હતી.
આ બેઠકમાં અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડિયા, ડી.સી.પી. ઝોન – ૨ શ્રી જગદીશ બાંગરવા, પ્રાંત અધિકારીશ્રી ચાંદની પરમાર, એસ.ઓ.જી. પી.આઈ. શ્રી જાડેજા સહીત વિવિધ પોલીસસ્ટેશનના અધિકારીશ્રીઓ, સમાજ સુરક્ષા વીભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ, મહાનગર તેમજ સિવિલ તબીબી વિભાગ, મનોચિકિત્સક વિભાગ, રિહેબિલિટેશન વિભાગ, કૃષિ, વન વિભાગ, તોલમાપ, સાઇન્ટિફિક વિભાગ સહિત કમિટીના અધિકારીશ્રીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીશ્રીઓ જોડાયા હતાં.





