
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોએ આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા, અને પ્રવાસન સ્થળના વિકાસ માટે અનુભવાતી મુશકેલીઓના અસરકારક નિવારણ માટે, ડાંગ જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિના અધ્યક્ષ-વ-જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને આહવા ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમા સાપુતારા સનસેટ પોઇન્ટને અપગ્રેડ કરી, પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવી, નોટિફાઈડ એરિયામા પ્રવાસીઓ વપરાશ કરી શકે તેવા શૌચાલય તેમજ ડ્રેનેજ લાઇનના બાંધકામનુ આયોજન, મહાલ રોડની પહોળાઈ ૫ મીટર સુધી કરવા માટેની મંજૂરી જેવા મુદ્દે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે સૂક્ષ્મ ચર્ચા હાથ ધરી હતી.આ ઉપરાંત ગિરિમથક સાપુતારા ખાતે આવેલ જાહેર જગ્યાઓ, સરકારી બિલ્ડિંગો અને સાપુતારા-માલેગામના ભયજનક વળાંકોમા પોલ લાઇટ સાથે સોલાર પેનલ લગાવવા પણ શ્રી વિજયભાઇ પટેલે ચર્ચા કરી હતી.આ સાથે જ સાપુતારા ખાતે આવેલ ડુંગરો પર બારેમાસ રહેતા વૃક્ષોના વાવેતર માટે સીડ બોલથી વાવેતર કરવા તેમજ સાપુતારામા બંધ કરાયેલા એડવેન્ચર એક્ટીવીટીઓ ફરી ચાલુ કરી વઘુને વઘુ પ્રવાસીઓને આકર્ષવા અંગેની દિશામાં કાર્ય કરવા જણાવ્યું હતુ. આ ઉપરાંત ધાર્મિક સ્થળો કનસરર્યા ગઢ, પાંડવ ગુફા, અંજનકુંડ જેવા ઐતિહાસિક પ્રવાસન સ્થળો પર સુવિધાઓ ઉભી કરવા અંગે પણ ચર્ચા કરવામા આવી હતી. જિલ્લામા પ્રવાસનના વિકાસ બાબતે ગુજરાત પ્રવાસન નિગમ, સ્થાનિક વહિવટી તંત્રના સંકલનમાં રહી કામ કરે તે અનિવાર્ય છે. ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળો બાબતે પ્રચાર-પ્રસાર કરવા માટે બેનર હોર્ડીંગ્સ લગાવવાની વ્યવસ્થા પ્રવાસન વિભાગ હાથ ધરે તે જરૂરી છે. તથા સાપુતારા ખાતે વઘઇ બોટાનિકલ ગાર્ડન જેવુ જ મોટું ગાર્ડન બનાવવાનુ આયોજન કરવા, સાપુતારા તળાવના કિનારાના વિકાસ કામ તથા સાપુતારાના ટર્ન પોઈન્ટ પર થતા અકસ્માત નિરાકરણ, તળાવના પાણીનુ લીકેજ અટકાવવા માટેની કામગીરી હાથ ધરવી જોઈએ. તેમ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાને જણાવ્યુ હતુ. સાથે જ પ્રજાહિતના પ્રાધાન્ય સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોનો વિકાસ થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતુ. મહાલ કેમ્પ સાઇટ, ગીરમાળ અને ગીરા ધોધ, કન્સર્યાગઢ અને પાંડવગુફા જેવા સ્થળોના વન વિભાગના પ્રવાસન સ્થળોના વિકાસ બાબતે જિલ્લાના નાયબ વન સંરક્ષકશ્રીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત દક્ષિણ નાયબ વન સંરક્ષક શ્રી ધીરજ કુમાર, ઉત્તર નાયબ વન સંરક્ષક શ્રી મુરારીલાલ મીણા , પ્રાયોજના વહીવટદાર શ્રી આનંદ પાટીલ, અધિક નિવાસી કલેક્ટર શ્રી વી.કે.જોષી, સાપુતારા નોટીફાઇ એરિયાના ચિફ ઓફિસર શ્રી યોગેશ ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી યુ.વી.પટેલ, કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુકણા, સાપુતારા હોટેલ એસોશિયેશનના પ્રમુખ શ્રી તુકારામ કર્ડીલે સહિતના સભ્યો ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.




