વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી ‘ડાંગ સ્વરાજ આશ્રમ’ કન્યા છાત્રાલયમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી આદિવાસી વિદ્યાર્થિની પર સંસ્થાના પ્રમુખના પતિ પ્રફુલ્લભાઈ નાયક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની આઘાતજનક વિગત સામે આવી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, ગત ૧૯ જાન્યુઆરીના રોજ રસોડામાં કામ કરતી સોનલબેન નામની મહિલાએ પીડિતાને કામના બહાને બોલાવી નશીલું પ્રવાહી પીવડાવ્યુ હતુ, ત્યારબાદ બેભાન અવસ્થામાં વિદ્યાર્થિની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ મામલે આરોપીએ પીડિતાને ધાકધમકી આપી અને પૈસાની લાલચ આપીને વાત દબાવી રાખવા દબાણ કર્યું હતું. જોકે, વિદ્યાર્થિનીની તબિયત લથડતા તેને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબીબી તપાસ દરમિયાન દુષ્કર્મની પુષ્ટિ થતા ૨૮ જાન્યુઆરીએ આહવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સંસ્થાના પ્રમુખ જાગૃતિબેન નાયકે આ ગંભીર બાબત અંગે કચેરીને જાણ કરી નહોતી, તેમજ અન્ય વિદ્યાર્થિનીઓ સાથે પણ આવી ઘટનાઓ બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આદિજાતિ વિકાસ વિભાગના પ્રયોજના વહીવટદારે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે અને જણાવ્યું છે કે આ છાત્રાલય આદિવાસી દીકરીઓ માટે સુરક્ષિત નથી. સંસ્થાનું સંચાલન તદ્દન નિષ્ફળ હોવાના સ્પષ્ટ અભિપ્રાય સાથે વહીવટદાર દ્વારા આ છાત્રાલયની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરવા માટે ગાંધીનગર કચેરીને લેખિતમાં કડક ભલામણ કરવામાં આવી છે..





