Rajkot: ૭૨-જસદણ વિધાનસભા વિસ્તારમાં “નો યોર પોલિંગ સ્ટેશન” અંતર્ગત મતદારોએ જાણ્યા પોતાના મતદાનના બુથ
તા.૨૯/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી ૭ મેના રોજ ૧૦- રાજકોટ સંસદીય બેઠક માટે મતદાન યોજાશે, ત્યારે આજરોજ સર્વે બુથો પર બી.એલ.ઓશ્રી ઉપસ્થિત રહી મતદારોને તેમના મતદાન મથક વિશેની માહિતી આપી રહ્યા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીમાં “નો યોર પોલિંગ સ્ટેશન” એટલે કે “તમારા મતદાન મથક વિશે જાણો” કાર્યક્રમ દ્વારા જે તે વિસ્તારના મતદારોને પોતાના મતદાન મથકની માહિતી અગાઉથી જ મળી રહે તે માટે આજરોજ કામગીરી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત જસદણ વિધાનસભા વિસ્તારના લોકોને બી.એલ.ઓ. દ્વારા મતદાન મથક તેમજ મતદાનની પ્રક્રિયામાં આવશ્યક દસ્તાવેજો જેવા કે ઓળખ કાર્ડ માટેના વિવિધ ૧૨ માન્ય પુરાવા, મતદાર કાપલી, અંધ કે અન્ય અપંગતા ધરાવતા દિવ્યાંગો તથા વૃદ્ધ મતદારો માટેની વિવિધ સુવિધાઓ જેવી મહત્વપૂર્ણ માહિતી પણ આપવામાં આવી હતી. ચૂંટણી પંચની આ નવી પહેલને જસદણ પંથકના મતદારો આવકારી રહ્યા છે.