તા.૨૭/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મૂછારનાં માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો દ્વારા વધુમાં વધુ નાગરિકો અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમે ૧૦ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સામેલ ૬૭ – વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીના દિશાનિર્દેશ અનુસાર રાજકોટ તાલુકાના આણંદપર ગામે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, આશાવર્કર, ગામના આગેવાનો, ગ્રામ પંચાયત કચેરીના સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાં. કાર્યક્રમમાં મતદાનની પવિત્ર ફરજ અંગે સૌને જાગ્રત કરવામાં આવ્યા હતા અને આગામી ચૂંટણીમાં અચૂક મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આ પ્રસંગે તૈયાર કરાયેલા સેલ્ફી પોઈન્ટ પર ફોટા પડાવ્યા હતાં.