Rajkot: રાજકોટ સંસદીય મતવિસ્તારોમાં “મતદાન જાગૃતિ અભિયાન”નું આયોજન કરાયું
તા.૨/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
આંગણવાડીની બહેનોએ “માસ મહેંદી ઇવેન્ટ” હેઠળ હાથમાં સ્લોગન લખીને મતદાન કરવા કરી અપીલ
Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ના ત્રીજા તબક્કાની મતદાન કરવાની પ્રક્રિયાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તા. ૭ મે, ૨૦૨૪ના રોજ નાગરીકો પોતાનો કિંમતી મત આપીને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર જોડાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃત્તિના સચોટ સંદેશા સાથેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત રાજકોટ સંસદીય મતવિસ્તારમાં આંગણવાડી બહેનો માટે “માસ મહેંદી ઈવેન્ટ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપલેટા, જેતપુર, જામકંડોરણા અને વાંકાનેર તાલુકા સહિતના આંગણવાડી કેન્દ્રોની બહેનોએ પોતાના હાથમાં મહેંદી મુકાવીને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે અચુક મતદાન કરવા માટેની અપીલ કરી હતી. બહેનોએ પોતાના હાથમાં “લોકશાહી અધુરી મતદાન વિના”, “દેશ માટે, જાગો મતદાતાઓ”, “મતદાન મહાદાન” સહિતના સ્લોગનની મહેંદી લગાવીને લોકોમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો.
વધુમાં આંગણવાડીના ભુલકાંઓએ પણ પોતાની પાટીમાં “ARE YOU EXCITED FOR ELECTION 7/05/2024 VOTE FOR INDIA” લખીને મતદાન જાગૃતિ અભિયાનના પ્રચારક બન્યા હતા. તેમજ જેતપુર તાલુકાના સરદાર વલ્લભભાઇ પટેલ સભાખંડ ખાતે યુવાગણ અને વિદ્યાર્થીઓને મતદાન મહત્વ અંગે વિસ્તૃત સમજ આપીને અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.