GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રૂ.૯૦ લાખના ખર્ચે બનેલ સુવિધાપથ સી.સી.રોડનું ખાતમુહૂર્ત કર્યું

તા.૬/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયા તાલુકાના પાટિયાળી ગામ ખાતે રૂ.૯૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ સુવિધાપથ સી.સી.રોડ મોઢુકા પાટિયાળી દેવધરી નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વિંછીયા તાલુકાના પાટિયાળી ગામના ગ્રામજનોના પરિવહન અર્થે સુવિધાપથ સી.સી. રોડનું નિર્માણ કરવામાં આવશે. આ રોડ ૭૮૦ મીટર લંબાઈ, ૫.૫૦ મીટર પહોળાઈનો બનશે. તેમજ બોક્સ કટીંગ, મેટલિંગ કામ, સી.સી.વેરિંગ કોટ, રોડ ફર્નિચર, થર્મો પ્લાસ્ટ પટ્ટા સહિતની સુવિધા વાળો બનાવવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મોઢુકાથી પાટિયાળી, દેવધરી, આકડિયા, તુરખા ગામ જવા માટેના નવીન રસ્તાઓના કામને મંજૂરી આપવામાં આવી છે. ફુલજર અને વેરાવળ ગામ ખાતે પુલ બનાવવાની કામગીરી કરવામાં આવશે. કોઝ વે, આરોગ્ય કેન્દ્ર, શિક્ષણની સુવિધાઓ તથા ગામડાઓમાં લઘુ ઉદ્યોગથી યુવાઓ રોજગારી મેળવે, જળ સંચય, સૌની યોજના સહિતની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા કરોડો રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવશે.

માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર શ્રી જે.એન.રાઠોડે સુવિધાપથ સી.સી.રોડના નિર્માણ અંગેની માહિતી આપી હતી. અગ્રણીશ્રી અશ્વિનભાઈ સાંકળીયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.

અગ્રણી સર્વેશ્રી નાથાભાઈ, શ્રી વિપુલભાઈ ભુવા, શ્રી કિશોરભાઈ ગોહિલ, શ્રી લાલભાઈ, શ્રી કાળુભાઈ, શ્રી રાજુભાઈ, પાડોશી ગામોના સરપંચશ્રીઓ, ખેડૂતશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!