Rajkot: કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના “સ્નેહમિલન” માં મહિલાઓએ મહત્તમ મતદાન કરવાનો સંકલ્પ કર્યો: મતદાન જાગૃતિ લાવવાનો નવતર અને અનોખો પ્રયાસ
તા.૧૫/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર સતત પ્રયાસો કરી રહ્યું છે. આગામી તારીખ ૭ મેના રોજ ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નોના ભાગરૂપે દેશવાસીઓને લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
૬૯-રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ શ્રી જે. એચ. ભાલોડીયા વુમન્સ કોલેજ દ્વારા વર્ષ ૧૯૯૧ થી લઈને ૨૦૨૪ સુધી અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું “સ્નેહમિલન” નું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્નેહમિલનમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં મહિલાઓ મહત્તમ પ્રમાણમાં મતદાન કરે તેના ભાગરૂપે મતદાર નોંધણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી રાજકોટ શહેર-૨ સુશ્રી નિશા ચૌધરી(IAS) ના માર્ગદર્શન હેઠળ “Signature campaign” નું આયોજન કરવામાં આવ્યું.
સુશ્રી નિશા ચૌધરી(IAS) એ કહ્યું હતું કે, લોકતંત્રમાં મતદાતા જ પાયાનો ધટક છે. લોકતંત્ર એટલે લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા. લોકશાહીમાં લોકોના એક –એક મતનું સવિશેષ મહત્વ છે. તમામ નાગરીકે મતદાન પ્રક્રીયામાં ભાગ લેવો જોઈએ. તટસ્થ અને નિર્ભીક રીતે મતદાન કરીને લોકશાહીને વધુ મજબુત બનાવવી જોઈએ. વર્તમાન ભારતની સશક્ત નારી તરીકે તમામ મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.
કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષકો અને કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ લોકશાહીના મહાપર્વ સમયે દેશની લોકશાહીને વધુ મજબુત કરવા માટે મતદાન કરવાની અને કરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. મતદાન જાગૃતી અંતર્ગત યોજાયેલા સિગ્નેચર કેમ્પેઈનમાં વિદ્યાર્થિનીઓએ હોંશભેર ભાગ લીધો હતો.