Rajkot: ૨૦ ડિસેમ્બરે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાનીમાં ઘેલા સોમનાથ મંદિરથી ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’નું પ્રયાણ

તા.૧૯/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
યાત્રિકો પ્રથમ દિવસે ગોડલાધારથી ગઢડીયા (જસ), જસદણ, આટકોટ, ખારચીયા (જામ) થઈને મોટા દડવા જશે
Rajkot: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજ્યના લોકોની સમૃદ્ધિ, સુખાકારી, સામાજીક સમરસ્તા અને આધ્યાત્મિક મૂલ્યોને ઉજાગર કરવાના શુભ આશયથી ઘેલા સોમનાથ મંદિરથી સોમનાથ મંદિર સુધી ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા ગામમાં આવેલા પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરથી તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ને શનિવારે સવારે ૦૭.૩૦ કલાકે પદયાત્રા પ્રસ્થાન કરશે.
‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ નિમિત્તે ઘેલા સોમનાથ મંદિરે સવારે ૦૬.૩૦ કલાકે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ઘેલા સોમનાથ મહાદેવજીનું પૂજન-અર્ચન કરશે. ત્યારબાદ પદયાત્રા માધવીપુર ગામે જવા પ્રયાણ કરશે. એ પછી ગોડલાધારથી ગઢડીયા (જસ), જસદણ, આટકોટ, ખારચીયા (જામ) થઈને મોટા દડવા ગામમાં યાત્રિકો રાત્રિ રોકાણ કરશે. આમ, મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાનીમાં આ પદયાત્રા પ્રથમ દિવસે સોમનાથ મંદિર તરફ રવાના થશે.



