Rajkot: “યોગ કરો, રોજ કરો, સ્વસ્થ રહો, મસ્ત રહો” ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ ખાતે ત્રીસ દિવસીય “મેદસ્વિતા મુક્તિ કેમ્પ”નો સમાપન સમારોહ યોજાયો
તા.16/10/2025
વાત્સલયમ્ સમાચાર
નિયમિત યોગાભ્યાસથી લોકોના સુગર લેવલમાં મહત્તમ સુધારો જોવા મળ્યો છે- યોગ કોચશ્રી મીતા તેરૈયા
Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓકટોબર સુધી આયોજીત ત્રીસ દિવસીય વિશેષ “મેદસ્વિતા મુક્તિ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનું આયોજન રાજકોટના મુંગા બહેરાની શાળામાં સળંગ એક માસ સુધી સવારે ૬.૦૦થી ૦૮.૦૦ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રતિ દિવસ ૧૦૦ થી વધુ લોકો જોડાયા હતા. મોટા ભાગના લોકોએ વધુ વજનની સમસ્યામાંથી મુક્તિ મેળવી હતી. યોગાભ્યાસ કરનાર લોકોના સુગર અને ડાયાબિટીસ કંટ્રોલમાં પણ મહત્તમ સુધારો જોવા મળ્યો છે, તેમ યોગ કોચ અને કો-ઓર્ડીનેટર શ્રી મીતા તેરૈયાએ જણાવ્યું હતું.
મેદસ્વિતા એક વૈશ્વિક આરોગ્ય સમસ્યા બનતી જાય છે. તેલ, ખાંડ અને પ્રોસેસ્ટ ફૂડ (કોલ્ડ ડ્રિંકસ,જંક ફૂડ) વધુ પ્રમાણમાં લેવાથી, શારીરિક કસરત અને ફિટનેસના અભાવથી, વધુ કેલેરીવાળા અને અસંતુલિત આહારથી, તણાવ અને અનિયમિત જીવનશૈલીથી, કુટુંબમાં મેદસ્વિતાનો ઇતિહાસ અને હોર્મોનલ અસંતુલનથી મેદસ્વિતા થાય છે. આ સમસ્યા માત્ર શરીરની ચરબી વધવાની સમસ્યા નથી, પરંતુ તે હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ઘૂંટણ દર્દ, કમર દર્દ, કેન્સર સહિત અન્ય ગંભીર રોગોનું મુખ્ય કારણ બની શકે છે. આધુનિક જીવન શૈલી, અસંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવના કારણે આજની પેઢી વધુ મેદસ્વિતા તરફ ધકેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ મેદસ્વિતાને વર્ષ ૧૯૯૭માં ‘ગ્લોબલ હેલ્થ પેન્ડેમિક’ જાહેર કરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
આ અભિયાનને સફળ બનાવવા માટે શ્રી મીનુશ્રી રાખોલીયા, શ્રી અજય જોશી, તૃપ્તિ રાંક સહીતના લોકોએ પ્રયત્નો કર્યા હતા.