Rajkot: ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા રાજકોટમાં વિદ્યાર્થીઓને બાયોટેક ક્ષેત્રમાં કારકિર્દીની તકો વિશે માર્ગદર્શન અપાયું : આશરે ૭૫૦ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા

તા.૨૫/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા તા. ૨૫ના રોજ ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (G.S.B.T.M.) દ્વારા ‘બાયોટેક્નોલોજીમાં કારકિર્દીની તકો માટે માર્ગદર્શન’ વિષયક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ના આશરે ૭૫૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બાયોટેકનોલોજી, લાઇફ સાયન્સ અને સંબંધિત ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી અને કૌશલ્ય વિકસાવવાની તકો વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંશોધન, ઇનોવેશન અને ઉદ્યોગ-સાહસિકતા સંબંધિત સરકારી યોજનાઓ અને કાર્યક્રમોની જાણકારી આપવામાં આવી હતી.
આ માર્ગદર્શક સેમિનાર વિદ્યાર્થીઓને નિષ્ણાતો સાથે સંવાદ કરવાની તક પૂરી પાડીને, તેમના શૈક્ષણિક અને વ્યવસાયિક નિર્ણયો માટે માર્ગદર્શનરૂપ બન્યો હતો. કાર્યક્રમના અંતે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા નિષ્ણાત વક્તાઓ અને સહભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગેગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનનાં ડાયરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને બાયોટેક્નોલોજી ક્ષેત્રમાં ઉભરતી તકો અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું
તથા આ વિષયમાં કારકિર્દી બનાવવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત બાયોટેક વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી ડો. સ્નેહલ બગથરીયા, મોટીવેશનલ સ્પીકર શ્રી શૈલેષભાઈ સગપરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં, તેમ ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશનની યાદીમાં જણાવાયું છે.










