Rajkot: હરિપ્રબોધમ પરિવાર – રાજકોટ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવનું ભક્તિપૂર્ણ આયોજન

તા.૧૦/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટમાં “ગુરુ સાક્ષાત પરબ્રહ્મ” ની ભાવનાથી યોજાયેલ ઉત્સવમાં વિધવિધ ક્ષેત્રના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિ
Rajkot: હરિપ્રબોધમ પરિવાર દ્વારા ૯ મી જુલાઈ, બુધવારના રોજ અત્રેના અભય ભારદ્વાજ કોમ્યુનીટી હોલ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી તથા વિદ્યાનગર સ્થિત આત્મીય વિદ્યાધામ સ્વામિનારાયણ મંદિરના પ્રગટ ગુરુહરિ પ.પૂ. પ્રબોધજીવનસ્વામીજીની પ્રેરણાથી તથા રાજકોટ સ્થિત સેવારત સંતોના માર્ગદર્શન અનુસાર યોજાયેલ આ કાર્યક્રમમાં શહેરના વિધ વિધ ક્ષેત્રના મહાનુભાવો સહિત બહોળી સંખ્યામાં હરિભક્ત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગનો પ્રત્યક્ષ લાભ હરિપ્રબોધમ સત્સંગ મંડળના જામનગર, મોરબી, જસદણ, સાવરકુંડલા તથા અમદાવાદથી પધારેલ ભક્તોએ પણ લીધો હતો.
હરિપ્રબોધમ પરિવારના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રાદેશિક સંત પૂ. સર્વાતીતસ્વામીએ ભક્તોને અદ્ભુત લાભ આપી ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવી ભક્તોને ગુરુના ચરણોમાં ગુરુભક્તિનો અર્ઘ્ય શ્રાદ્ધ અને વિશ્વાસથી અર્પણ કરવા માટેની પ્રેરણા આપી હતી. તેઓએ અલગ અલગ પ્રસંગોના માધ્યમથી જીવનમાં ગુરુનું સ્થાન હોય તો કેવું પરિવર્તન થઈ શકે તે અંગે લાભ આપ્યો હતો.
આ પ્રસંગે રાજકોટ શહેરના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, રાજકોટ 69-વિધાનસભા ના ધારાસભ્ય શ્રીમતિ દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવ ભાઈ દવે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના દંડક શ્રી મનીષભાઈ રાડિયા, શાસક પક્ષના નેતા શ્રીમતી લીલુબેન જાદવ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી કિરણબેન માકડીયા, રાજકોટ શહેર ભાજપ ના પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, રાજકોટ મહાનગરના સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી વિક્રમભાઈ પુજારા, કોર્પોરેટર અને ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી રાજકોટના પૂર્વ ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, ટાઉન પ્લાનિંગ ચેરમેન શ્રી ચેતનભાઈ સુરેજા, કોર્પોરેટર શ્રી નીરૂભા વાઘેલા, તાલુકા ભાજપના મહામંત્રી શ્રી સુરેશભાઈ વસોયા, વોર્ડ ૯ ના ભાજપના મહામંત્રી શ્રી પ્રવીણભાઈ સેગલિયા, પ્રમુખ શ્રી હિરેનભાઈ સાપરિયા વગેરેએ ખાસ ઉપસ્થિત રહી ઉત્સવ સભા તથા સમગ્ર આયોજનને બિરદાવ્યું હતું.
આ સિવાય મહેમાનોમાં એસબીઆઇ મુખ્ય શાખાના ચીફ મેનેજર શ્રી દામોદર રાવ, તથા એસબીઆઇ પેન્શનર એસોસિએશનના શ્રી શરદભાઈ ગેસ અને રામધામ શાખાના બંદોપાધ્યાય સાહેબ, ખાસખબર પ્રેસના શ્રી પરેશભાઈ ડોડીયા, રજનીભાઈ તથા કૌશિકભાઈ, વૃંદાવન ડેરીના વસંતભાઈ લિંબાસિયા, આરએસએસ ના અગ્રણી વિનોદભાઈ પેઢાડિયા ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ અગ્રણી શ્રી ચેતનભાઈ રામાણી, આરએસએસ ના અગ્રણી શ્રી લલિતભાઈ પાનસુરીયા સંતો માટે શ્રી લક્ષ્મીનારાયણ દેવનો પ્રસાદીનો હાર લાવ્યા હતા, જે તેઓએ સંતોને અર્પણ કર્યો હતો.
આ સિવાય શહેરના ખ્યાતનામ ડોક્ટર્સમાંથી ક્રાઇસ્ટ હોસ્પિટલના ઓપ્થેલમોલોજિસ્ટ ડૉ. નંદિશ મશરુ, ડૉ. સાગર ઉસદડિયા, ડૉ પાયલબેન ભાદાણી, ડૉ. કે પી મોર, નાથાણી બ્લડ બેંકના નાથાણી સાહેબ તથા ભરતભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હરિપ્રબોધમ પરિવાર દ્વારા સહુ મહેમાનોનું સુંદર ભક્તિસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કીર્તનભક્તિ બાદ હરિપ્રબોધમ પરિવારના અમદાવાદના યુવા કાર્યકર્તા યશભાઈ કોટકના પ્રાસંગિક ઉદ્બોધનથી શરૂ થયેલ સભામાં ગુરુના મહિમાનું ગાન કરતું સુદર પ્રેઝન્ટેશન તથા એક યુવકના જીવનમાં અતિ ગંભીર બીમારી ગુરુના આશિષ થી કેવી રીતે દૂર થઈ શકી એ પ્રસંગનું દર્શન કરાવતો યુવકો દ્વારા બનાવેલ સંવાદ રજૂ કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમના અંતમાં ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી તથા પ્રગટ ગુરુહરિ પ.પૂ. પ્રબોધજીવનસ્વામીજીના આશીર્વચનનો લાભ વીડિયોના માધ્યમથી ભક્તોને મળ્યો હતો. ત્યારબાદ ગુરુ પાદુકા તથા ઉપસ્થિત સંતો પૂ. સર્વાતીતસ્વામી તથા પૂ. સુનૃતસ્વામીનું ભક્તોએ પૂજન કર્યું હતું અને બહેનોના વિભાગમાં પૂ. શહીદબેન અને સાધુ શિલ્પબેનનું બહેનોએ પૂજન કર્યું હતું.
સમગ્ર પ્રસંગમાં લગભગ 2100 જેટલા ભક્તો તથા આમંત્રિત મહાનુભાવોએ ગુરુપૂજન, સભા તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ માટે રાજકોટ હરિપ્રબોધમ પરિવારના ગૌરાંગભાઈ પંડ્યા, ધર્મેશભાઈ સગપરીયા, રાકેશભાઈ સવાણી, મૌલિકભાઈ ગોંધિયા, દિનેશભાઈ અંબાસણા વગેરે આગેવાનોએ સુંદર જહેમત ઉઠાવી હતી.




