Rajkot: રાજકોટ સંસદીય મતવિસ્તારમાં બેનર્સ, રેલી અને નાટકના માધ્યમથી લોકોને મતદાન કરવા પ્રેરિત કરાયા
તા.૧૫/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકશાહીના અવસરમાં બહોળી સંખ્યમાં લોકભાગીદારી નોંધાય તે માટે દેશભરમાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અન્વયે રાજકોટના ૭૧ – વિધાનસભા મત વિસ્તારના લોધીકા તાલુકાના મેટોડા, ૭૫- ધોરાજી વિધાનસભા મતવિસ્તાર, ભાગ નં-૨૨૧, સરધાર ૪ અને ૭૦ દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતુ.
૭૧- વિધાનસભા મતવિસ્તારના મેટોડા જી.આઇ.ડી.સી. ખાતે મામલતદારશ્રી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને આગામી લોકસભા સામાન્ય ચુંટણીમાં મતદાન કરવા માટે ફેકટરીમાં રજા રાખવા અને તમામ કર્મચારીઓ મતદાન કરવાની સૂચના આપવામાં આવી હતી. આ તકે જી.આઇ.ડી.સી. પ્રમુખશ્રી, સભ્યોશ્રી અને ફેકટરીઓના માલિકોને મતદાન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ૭૫ -ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ધોરાજી શહેરમાં ડો. બાબા સાહેબ આંબેડકરની જયંતી નિમિતે પુરૂષોની રેલીના કાર્યક્રમમાં બુથ લેવલ ઓફિસરશ્રી દ્વારા પેમ્પેલેટનું વિતરણ અને બેનર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. રાજકોટ સંસદીય મતવિસ્તાર ભાગ નં-૨૨૧, સરધાર ૪માં સોસાયટીના તમામ ઘરોમાં વહીવટી તંત્ર દ્વારા મતદાન કરવા ઘરે ઘરે આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
૭૦-રાજકોટ દક્ષિણ વિધાનસભા મતવિસ્તારની એન્જીનીયરીંગ એસોસિએશન હોલ ખાતે નાટ્યકાર સ્વ. શ્રી અમુલખ ભટ્ટની જન્મજયંતી નિમિતે બાળનાટકની રજૂઆત કરીને ઉપસ્થિત પ્રેક્ષકોને મતદાન જાગૃતિ અંગે સમજાવાયું હતું. મહિલા મતદાતોને મતદાન કરવા આમંત્રણ પત્રિકા આપી હતી. આ પ્રસંગે આશરે ૩૦૦ લોકોને મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.