Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીના હસ્તે પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન

તા.૨૭/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સહયોગથી આયોજન : લોકોને ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરવા માટે અનુરોધ
Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીના હસ્તે રીબીન કટ કરીને પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીઓએ સ્ટોલની મુલાકાત લઈને ચીજવસ્તુઓ ખરીદી, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ એક દિવસીય ફાર્મર્સ માર્કેટમાં ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત નોંધાયેલા, જસદણ, કોટડાસાંગાણી, જામકંડોરણા વગેરે તાલુકાના ગામોમાંથી ખેડૂતો ઓર્ગેનિક ચીજોના વેચાણ માટે આવ્યા હતા. આ સ્ટોલમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડેલા શાકભાજી, કઠોળ ઉપરાંત ઓર્ગેનિક હરદળ, રાય, જીરુ, દેશી ગોળ, સિંગતેલ, ગુલકંદ, આયુર્વેદિક સાબુ, ધૂપ, માટીના દીવા સહિતની વસ્તુઓ વેચાઈ રહી છે. આ તકે મહાનુભાવોએ લોકોને ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.
આ તકે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તૃપ્તિબેન પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી હસમુખભાઈ વાદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.







