3-મે
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતીમાં હસ્તાક્ષર કરીને ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવા તરફ એક પહેલ
મુન્દ્રા કચ્છ :- આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પંદરમી ઓગસ્ટના દિવસે પોતાના પ્રવચનમાં પંચ પ્રણની વાત કરી હતી, એ પાંચ પ્રણમાંથી એક પ્રણ – ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવાની વાત કરતા જણાવ્યું હતું કે “મા, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી!” વ્યકિતના જીવનમાં માતૃભાષાનું આગવું મહત્વ રહેલું છે. ભાષા એ આપણી સંસ્કૃતિની અભિવ્યક્તિનો ધબકાર છે. કોઇપણ વ્યકિતની હયાતી અને ઓળખ હસ્તાક્ષર દ્વારા થાય છે, આપણા હસ્તાક્ષર એ આપણા વ્યક્તિત્વનો ચહેરો પણ છે. ત્યારે માતૃભાષાનું સન્માન કરવું દરેક વ્યકિતનું કર્તવ્ય બને છે.
આઝાદીના 75 વર્ષ બાદ ભારતમાંથી અંગ્રેજો જતા રહ્યા પરંતુ હજુ સુધી આપણા મનમાંથી અંગ્રેજ અને અંગ્રેજી ભાષા ગઈ નથી. હાલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દેશમાંથી ગુલામીની નિશાનીઓને દૂર કરવાની સાથે સ્વદેશીકરણ થઈ રહ્યું છે. આપણી માતૃભાષાના ગૌરવ બાબતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહપ્રધાન અમિતભાઇ શાહ, મોરારજીભાઈ દેસાઈ, દિલીપભાઈ દેશમુખ વગેરે મહાનુભવો હંમેશા માતૃભાષામાં જ સહી કરવાનો આગ્રહ રાખે છે ત્યારે શું આપણે પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં હસ્તાક્ષર ન કરી શકીએ? એ વિચારને આગળ ધપાવતા માતૃભાષામાં હસ્તાક્ષર કરવાની પ્રેરણા મળે એવા શુભ આશયથી મુન્દ્રાની એસ.ડી. શેઠીયા બી.એડ. કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. વી. ફફલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્થાપના દિવસે ‘માતૃભાષા હસ્તાક્ષર અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં કોલેજના તમામ પ્રોફેસરો અને તાલીમાર્થીઓએ માતૃભાષા ગુજરાતીમાં હસ્તાક્ષર કરીને ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવા તરફ એક પહેલ કરી હતી. એવું પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર પ્રોફેસર ડો. કૈલાશભાઈ નાંઢાએ એક યાદીમાં જણાવ્યું હતું.