Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રૂા.૭૯૭.૭૩ લાખના ખર્ચે રિવર ફ્રન્ટ અને ભાદર નદી પરના કાળિયા બ્રીજના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત

તા.૧/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
“જસદણ અને વિંછીયા તાલુકામાં ઘેલા સોમનાથ બાદ રિવર ફ્રન્ટ અને બ્રિજની સુવિધા લોકો માટે સુવિધા અને રોજગારનું કેન્દ્ર બનશે”- મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા
Rajkot: જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રૂ. ૫૦૯.પર લાખના ખર્ચે જસદણ બાયપાસ પરના સ્વામી વિવેકાનંદ સ્મશાન પાસે રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને રૂા.૨૮૮.૨૧ લાખના ખર્ચે ભાદર નદી પર (કાળીયા બ્રીજ) હાઈ લેવલ સબમર્સીબલ બ્રીજ બનાવવાના કુલ રૂ.૭૯૭.૭૩ લાખના ખર્ચના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસમાં જસદણના નગરજનો તેમજ આસપાસના ગામડાઓને વિવિધ વિકાસ કામોની ભેટ મળી રહી છે. જસદણ વિંછીયા તાલુકાના નાગરિકો માટે ધાર્મિક સ્થળ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ઉપરાંત સ્વામી વિવેકાનંદ સ્મશાન પાસે રીવરફ્રન્ટ ડેવલપમેન્ટને લીધે સુવિધા અને રોજગારનું કેન્દ્ર અને ફરવાલાયક સ્થળ બનશે. તથા ભાદર નદી પરના કાળીયા બ્રીજને હાઈ લેવલ સબ મર્સીબલ બ્રીજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જેના વિકાસથી જસદણના લાતી પ્લોટના ઉદ્યોગ વિસ્તારના ઉદ્યમીઓને, નગરજનોને અને અન્ય વટેમાર્ગુઓને આવાગમનમાં સરળતા રહેશે. રિવરફ્રન્ટ અને બ્રિજની કામગીરી ગુણવત્તાયુક્ત બને, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જસદણ અને વિંછીયાના નાગરિકોને શાળા, કોલેજ, પુસ્તકાલય, આરોગ્ય કેન્દ્ર, રસ્તાઓ અને અન્ય જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા નાગરિકોનો સહકાર ખૂબ જ જરૂરી છે. જસદણ અને વિંછીયા તાલુકાના વિવિધ ગામોના રસ્તાઓ અને બ્રિજના વિકાસની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જસદણ તાલુકો હેન્ડીક્રાફ્ટ, ઈમિટેશન સહિતના ક્ષેત્રોમાં રાજ્યમાં આગવું સ્થાન ધરાવે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મેહુલ જોધપુરાએ શાબ્દિક સ્વાગત અને વોર્ડ નં.૩ના પ્રતિનિધિ શ્રી પંકજભાઈ ચાવએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું, મંત્રીશ્રીએ ગુજરાત માહિતી વિભાગના વોટ્સએપ પેજ અંગેની ઉપસ્થિત સર્વેને માહિતી આપી હતી.
આ તકે નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી કાજલબેન ઘોડકિયા, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ થડેશ્વર, નગરપાલિકા પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ છાયાણી, ચેમ્બરના પ્રમુખશ્રી, કોર્પોરેટરશ્રી, કાર્યકરો, અગ્રણીશ્રીઓ અને મામલતદાર શ્રી આઈ.જી.ઝાલા સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.












