Rajkot: રાજકોટ લોકમેળામાં એલ.ઈ.ડી. સ્ક્રીન પર જાહેરાતના પ્રસારણ માટે ટેન્ડર મગાવાયા

તા.૫/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રસ ધરાવતી પાર્ટીઓએ ૧૩મી સુધીમાં ટેન્ડર ભરવાનું રહેશેઃ ૧૪મીએ ટેન્ડર ખુલશે
Rajkot: રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાવા જઈ રહેલા લોકમેળામાં એલ.ઈ.ડી. સ્કીન પર જાહેરાતના પ્રસારણ માટે લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા ટેન્ડર મગાવવામાં આવ્યા છે.
રાજકોટ શહેર-૧ નાયબ કલેક્ટર તથા લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષની યાદીમાં જણાવાયા પ્રમાણે, રાજકોટમાં ૨૪થી ૨૮ ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રવેશદ્વાર ઉપર ચાર, મેળાની અંદર લાઈટ અને સાઉન્ડ ટાવર-૩૫ તેમજ વોચ ટાવર-૧૪ ઉપર એલ.ઈ.ડી. સ્ક્રીન દ્વારા જાહેરાતનું પ્રસારણ કરવા માગતી વ્યક્તિઓ,પેઢીઓ, કંપનીઓ, જાહેરાત એજન્સી પાસેથી ટેન્ડર મગાવવામાં આવે છે.
રસ ધરાવતી પાર્ટીઓ પાંચમી ઓગસ્ટથી ૧૩મી ઓગસ્ટ સુધી કચેરીના સમય દરમિયાન નિયત ટેન્ડર ફીની રકમ રૂ.૨૦૦૦- ભરીને મેળવી શકશે. ટેન્ડર બીડની તમામ વિગતો પ્રાંત કચેરી પ્રાંત કચેરી, રાજકોટ શહેર-૧ ખાતેથી મળી રહેશે. ભાવો સીલબંધ કવરમાં ૧૩મી ઓગસ્ટના રોજ સાંજે ૧૮ કલાક સુધીમાં પહોંચતા કરવાના રહેશે. સીલબંધ કવર પર ‘‘લોકમેળામાં જાહેરાતનું ટેન્ડર’’ એમ લખવાનું રહેશે. તા.૧૪મી ઓગસ્ટે બપોરે ૧૨ કલાકે આ કચેરી ખાતે ભાવો ખોલવામાં આવશે.




