Rajkot: ‘‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’’ નિમિતે રાજકોટ ખાતે વિશેષ સન્માન સમારોહ યોજાયો: ૧૯ દિવ્યાંગજનો-સંસ્થાઓનું અદકેરું સન્માન કરાયું

તા.૪/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
નૃત્યસભર અભિવ્યક્તિથી ઉપસ્થિતોના મન મોહી લેતા દિવ્યાંગો
Rajkot: તમામ પ્રકારની દિવ્યાંગતાના સહજ સ્વીકાર સાથે દિવ્યાંગોનું સમાજના મુખ્ય પ્રવાહમાં પુનઃસ્થાપન કરવાના ઉદ્દેશ્યથી માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે ‘‘આંતરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’’ની ઉજવણી કરાઇ હતી.
આ કાર્યક્રમમાં દિવ્યાંગોએ વિવિધ ગીતો ઉપર નૃત્યસભર અભિવ્યક્તિ કરીને ઉપસ્થિતઓના મન મોહી લીધા હતા. સમાજમાં દિવ્યાંગજનો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત કરવામાં આવેલી સિદ્ધિઓનું ગૌરવ વધારવા શિક્ષણ, કલા, રમત-ગમત, સામાજિક સેવા અને સ્વરોજગારી ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરનાર કુલ ૧૯ વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી ઉત્મભાઈ મારૂ, શ્રી કમલેશભાઈ માળવી, ડૉ. પ્રકાશ કાગડા, શ્રી ગોપાલભાઈ કંથારિયા, ડૉ. દેવ્યાની વછરાજાની, શ્રીમતી સોનલ વસોયા વગેરેનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. સામાજિક સેવા અને પુનઃસ્થાપન ક્ષેત્રે યોગદાન બદલ અંધજન કલ્યાણ મંડળ, રાજકોટ, એકરંગ ચાઈલ્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, જિનિયસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, બહેરા-મૂંગા બાળકો માટે કાર્યરત શાળાઓ,ધનવંતરી આરોગ્ય માનવ કલ્યાણ ટ્રસ્ટ,મા શારદા સેરેબ્રલ પલ્સી વિભાગ, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, મધર ટેરેસા આશ્રમ, સ્નેહ નિર્ઝર સહિતની અનેક સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી.
વિશ્વભરમાં દર વર્ષે 03 ડિસેમ્બરને “આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે, ગુજરાત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર તથા સમાજ સુરક્ષા વિભાગ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે નિવાસી અધિક કલેકટર શ્રી એ.કે.ગૌતમની ઉપસ્થિતિમાં દિવ્યાંગ ભાઈઓ-બહેનોના વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રામકૃષ્ણ આશ્રમના સ્વામી ધર્મપાલ નંદજી, પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશનના પૂજા પટેલ, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ ઉપાધ્યાય, નવશક્તિ સંસ્થાના રાની સિસ્ટર, વી. ડી. પારેખ અંધ મહિલા ગૃહના ટ્રસ્ટી શ્રી હીનાબેન મોદી, બહેરા મૂંગા શાળાના ટ્રસ્ટી શ્રી રજનીભાઈ બાવીસી તથા નરેન્દ્રભાઈ દવે સહિતના અગ્રણીઓ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થના શેરસીયા તેમજ ઉપરોક્ત તમામ સંસ્થાઓના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







