GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: શ્રી મુંજકા-૨ પ્રાથમિક શાળામાં બાળકોમાં નૈતિક મૂલ્યો વિકસાવવા માટેના “પ્રોજેક્ટ રામહાટ”નો શુભારંભ

તા.૧૬/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ સંચાલિત શ્રી મુંજકા-૨ પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ બાળકો અને બહેનો માટે કામ કરતી સંસ્થા ઓજસ્વિની ફાઉન્ડેશનના સહયોગથી બીજો “રામહાટ પ્રોજેક્ટ” શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં વિવિધ સ્ટેશનરીની વસ્તુઓનું નજીવા દરે વેચાણ કરાશે. સ્ટેશનરીની વસ્તુ ટેબલ પર હશે ત્યાં દરેક વસ્તુના ભાવ પણ લખેલા હશે પરંતુ કોઈ દુકાનદાર નહીં હોય. વિદ્યાર્થીઓ પોતાની જાતે જ ત્યાં રૂપિયા મૂકી વસ્તુ લઈ શકશે. અહીં વસ્તુ તદ્દન નજીવા દરે મળી રહેશે. સરકારી શાળામાં ભણતા આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. શાળાના આચાર્યશ્રી મુઝમ્મીલભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે,આ પ્રોજેક્ટથી શાળાના બાળકોમાં પ્રામાણિકતા, વફાદારી તેમજ વ્યાવહારિક ગુણોનો વિકાસ થયો છે. શાળાના બાળકો દ્વારા જ આ રામહાટ દુકાનનો બધો જ હિસાબ કિતાબ રાખવામાં આવે છે. જેથી બાળકોને વ્યાવસાયિક અનુભવ થશે તેમજ ગાણિતિક સમજ પણ સરળતાથી વિકસી શકશે. આ પ્રોજેક્ટથી બાળકોમાં વ્યાપાર કૌશલ્યનો વિકાસ પણ જોવા મળી રહ્યો છે. ઓજસ્વિની ફાઉન્ડેશન દ્વારા તમામ સ્ટેશનરી પૂરી પાડવામાં આવી રહી છે. તેમજ જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક સ્ટેશનરી પણ આપવામાં આવે છે. આ ઉપરાંત શાળાના નવરાત્રી કાર્યક્રમ અંતર્ગત બધા બાળકોને ઓજસ્વિની ફાઉન્ડેશન તરફથી લંચબોક્ષ અને નવરાત્રિ નિમિતે બાળાઓને ગળામાં પહેરવાનો સેટ આપીને તથા શાળાના તેજસ્વી બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!