Rajkot: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી
તા. 8/10/2025
વાત્સલયમ્ સમાચાર
ઓનલાઈન નોંધણી ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફતે તા. ૦૧/૧૦/૨૦૨૫ થી ૩૧/૧૦/૨૦૨૫ સુધી કરવામાં આવશે
Rajkot: ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે.
ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫- ૨૬ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ. ૨૩૬૯-/- પ્રતિ ક્વિ. ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨૩૮૯/- પ્રતિ ક્વિ. મકાઈ માટે રૂ. ૨,૪૦૦/- પ્રતિ ક્વિ. બાજરી માટે રૂ.૨,૭૭૫/- પ્રતિ ક્વિ., (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ) જુવાર(હાઈબ્રીડ) રૂ. ૩,૬૯૯/-પ્રતિ ક્વિ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ), જુવાર (માલદંડી) રૂ.૩,૭૪૯/- પ્રતિ ક્વિ(ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ). તથા રાગી માટે રૂ. ૪,૮૮૬/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300/- પ્રતિ વિ) નિયત કરવામાં આવેલ છે.
લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવારૂ તથા રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફતે તા. ૦૧/૧૦/૨૦૨૫ થી ૩૧/૧૦/૨૦૨૫ સુધી કરવામાં આવશે. ડાંગરની ખરીદી તા. ૦૧/૧૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી તથા મકાઈ, બાજરી, જુવાર તથા રાગની ખરીદી તા. ૦૧/૧૧/૨૦૨૫ થી ૩૦/૦૧/૨૦૨૬ સુધી કરવામાં આવશે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂતો મિત્રોને અપીલ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, ૭/૧૨ .૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.
ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસ.એમ.એસ. મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવા તેમજ વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરવા ગુજરાત નાગરીક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે.