BHARUCHBHARUCH CITY / TALUKO

અસ્મિતા કેન્દ્રમાં વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી:78 બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો

સમીર પટેલ, ભરૂચ

વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે માનસિક દિવ્યાંગ બાળકો માટે ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 78 બાળકોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનો હેતુ તેમની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવાનો હતો.
સ્પર્ધા દરમિયાન બાળકોને ચિત્રકલા વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમને પોતાની કલ્પનાને રંગો દ્વારા વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરાયા હતા. ડ્રોઇંગ પેપર, કલર પેન્સિલ, ક્રેયોન્સ અને વોટર કલર જેવી જરૂરી સામગ્રી પણ બાળકોને પૂરી પાડવામાં આવી હતી.
બાળકોને તેમની કાર્યક્ષમતાના આધારે ત્રણ જૂથોમાં (લો લેવલ, મીડિયમ લેવલ અને હાઈ લેવલ) વિભાજિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલ, અરુણા પટેલ, ડી.એલ.એસ.એ. ભરૂચના એડવોકેટ મહેજબીનબેન, ડૉ. વંદનભાઈ અને ડૉ. વિશ્વનીબેન દ્વારા સ્પર્ધાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. દરેક જૂથમાંથી પ્રથમ ત્રણ વિજેતાઓને પુરસ્કાર અપાયા હતા, જ્યારે તમામ સહભાગી બાળકોને પ્રોત્સાહન રૂપે સ્કૂલ બેગનું વિતરણ કરાયું હતું.
વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે NTPC જનોર દ્વારા પણ મનોદિવ્યાંગ બાળકો માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કંપનીએ બાળકોને પિકનિક જેવો અનુભવ કરાવવા માટે બસ દ્વારા પરિવહનની વ્યવસ્થા કરી હતી. આ કાર્યક્રમમાં બાળકો માટે પપેટ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. NTPCના અધિકારીઓ અને કર્મચારીઓએ બાળકોનું હાર્દિક સ્વાગત કરીને આ ઉજવણીને યાદગાર બનાવી હતી. આવા કાર્યક્રમો દિવ્યાંગ બાળકોની પ્રતિભા વિકસાવવામાં અને સમાજમાં સમાન સહભાગિતાનો સંદેશ ફેલાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Back to top button
error: Content is protected !!