Rajkot: આવતીકાલથી તરણેતરના વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો શુભારંભ, ભગવાનશ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન સાથે મેળાની શરૂઆત થશે

તા.૨૫/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
હાલો રે હાલો તરણેતરના મેળે, જ્યાં બિરાજે ભોળા શિવજી….
આવતીકાલથી તરણેતરના વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો શુભારંભ, ભગવાનશ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન સાથે મેળાની શરૂઆત થશે
તા. ૨૮ ઓગસ્ટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ
તરણેતરીયા મેળામાં દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધા, પશુ પ્રદર્શન હરીફાઈ, ૨૦મી ગ્રામીણ ઓલિમ્પિક યોજાશે
પાંચાળની પુરાતન લોકસંસ્કૃતિને ઉજાગર કરતાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો મેળાની રંગતમાં વધારો કરશે
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
Rajkot: સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ કેવડા ત્રીજ થી છઠ્ઠ સુધી એટલે કે તા. ૨૬ થી ૨૯ સપ્ટેમ્બર સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લોકમેળામાં ભાદરવા સુદ ત્રીજ (કેવડા ત્રીજ) તા. ૨૬ ઓગસ્ટના રોજ પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં સવારે ૦૯.૩૦ કલાકે ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અર્ચન અને જલાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૦.૩૦ કલાકે દીપ પ્રાગટ્ય કરી પશુ મેળો અને પ્રદર્શન, ગ્રામીણ રમતોત્સવ, પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓનું ઉદ્દઘાટન મંત્રીશ્રીઓના વરદહસ્તે કરવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા રાત્રે ૦૯:૩૦ કલાકે મેળાના સ્ટેજ પર વિવિધ રાવટીના ભક્તજનોની સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી તા. ૨૭ ઓગસ્ટના રોજ સાંજે ૫:૩૦ કલાકે પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂ. શ્રી નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ થશે. આ દિવસે રાત્રે ૯:૦૦ કલાકે મેળાના સ્ટેજ પર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના લોકકલાકારોને માણવાનો અનેરો અવસર પૂરો પાડશે.
ભાદરવા સુદ પાંચમ (ઋષિ પંચમી) તા. ૨૮ ઓગસ્ટના રોજ સવારે ૦૬.૩૦ કલાકે મહંતશ્રી દ્વારા મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી કરવામાં આવશે. સવારે ૮.૩૦ કલાકે લખતર સ્ટેટ શ્રી ઝાલા યશપાલસિંહ દિવ્યરાજસિંહજીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. સવારે ૧૦:૦૦ કલાકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના પશુપાલન મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકી, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ગુજરાત પ્રવાસન નિગમ લિ. ના તોરણ ટુરિસ્ટ વિલેજની મુલાકાત તથા શિવ પૂજન, ગ્રામીણ રમતોત્સવની મુલાકાત અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મેળાના સ્ટેજ પર રાસ-ગરબા, દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરીફાઈ, પાવા હરીફાઈ યોજાશે. જેમાં વિજેતાઓને ઈનામ પણ એનાયત કરવામાં આવશે. રાત્રે ૦૯:૩૦ કલાકે મેળાના સ્ટેજ પર ગુજરાત ટુરીઝમ નિગમ અને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ભાદરવા સુદ છઠ્ઠ તા. ૨૯ ઓગસ્ટના રોજ સવારે ૦૭.૦૦ કલાકે ગંગા વિદાય આરતી યોજાશે. ત્યારબાદ બપોરે ૧૨.૦૦ કલાકે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ થયા બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
પુરાતન પાંચાળની સોડમને ઉજાગર કરતા આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરીકૃષ્ણભાઈ પટેલ, સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય સર્વ શ્રી શામજીભાઈ ચૌહાણ, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી પી.કે.પરમાર સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ સહભાગી બનશે.







