તા.૩/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાઓના આશરે ચાર લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૧૪૬ કરોડની લોન/સહાય વિતરણ
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ૧૨ જિલ્લાઓના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓના આશરે ૪ (ચાર)લાખથી વધુ લાભાર્થીઓએ રૂ.૧૪૬ કરોડની લોન/સહાય વિતરણ કરાઇ હતી.
આ પ્રસંગે મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ હર્ષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભારતીય બંધારણના રચયિતા બાબાસાહેબ આંબેડકરની વિકાસની પરિભાષાને ચરિતાર્થ કરવા રાજયસરકાર કૃતનિશ્ચયી છે, જેના ભાગરૂપે આજે માત્ર એક રીમોટથી સમાજ સુરક્ષા, અનુસૂચિત જાતિ કલ્યાણ અને વિવિધ ૧૧ નિગમોના લાભાર્થીઓને ૧૪૬ કરોડની સહાય લાભાર્થીઓના ખાતામાં પહોંચી છે, જે પ્રધાનમંત્રીશ્રી મોદીના વિઝનને આભારી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ ધરાવતા ભારત દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા સમાજના અંતિમ છેડે બેઠેલા માનવીને પ્રથમ વિકાસ લક્ષ્ય તરીકે આગળ રાખ્યા છે, જેના થકી જ આજે અનેક લોકોના ઘરના ઘર, અનેક વિદ્યાર્થીઓના શિક્ષણના અને વિદેશ અભ્યાસના સ્વપ્ન સાકાર થયા છે. અને અનેક દીકરીઓ કોઇપણ પ્રકારના ભેદભાવ વગર આજે પોતાના સ્વપ્નોને સાકાર કરી રહી છે. કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રોનું લાઇવ ટેલીકાસ્ટ રાજયસરકારના પારદર્શક વહીવટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સ્વામી વિવેકાનંદના ‘‘માનવસેવા એ જ પ્રભુ સેવા’’ના સૂત્રને રાજ્ય સરકારે સાર્થક કરી લોકસેવામા નિષ્ઠા સાથે સંપૂર્ણ પ્રયત્નશીલ બની અનેક લોકોના જીવનમાં અજવાસ પાથરવામાં નિમિત્ત બની છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર,અમરેલી, મોરબી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ,જુનાગઢ, દ્વારકા, પોરબંદર અને કચ્છ સહિતના ૧૨ જિલ્લાઓના ચાર લાખથી વધુ નાગરિકોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સરકારશ્રીની જુદી-જુદી યોજનાઓ જેવી કે, ડો.આંબેડકર આવાસ યોજના, કુંવરબાઇનું મામેરૂ યોજના, આંતરજ્ઞાતીય લગ્ન પ્રોત્સાહક યોજના, પંડિત દીન દયાળ આવાસ યોજના વિદેશ અભ્યાસ લોન તથા વિવિધ નિગમોની લોન વિગેરેના રૂ. ૧૪૬ કરોડની લોન/સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ વાહન સહાય લોન અંતર્ગતના ટ્રેક્ટર તથા રીક્ષા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, સાથે જ ૨૧ લાભાર્થીઓને પ્રતિકાત્મક ચેક, આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી. રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી સરકારી કુમાર છાત્રાલયના ૩૦૦ વિદ્યાર્થીઓને સરકારી નોકરી પ્રાપ્ત કરવા તથા ૨૧ છાત્રોને બી.એસ.એફ., સી.આઇ.એસ.એફ., આઈ.ટી.બી.પી. અને સી. આર.પી. એફ. સહિતની સુરક્ષા ક્ષેત્રે નિમણુક થવા બદલ મહાનુભાવોએ બિરદાવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોએ દીપ પ્રાગટય કર્યું હતું. રાજકોટ મેયરશ્રી પ્રદીપભાઈ ડવે શાબ્દિક સ્વાગત તેમજ સાંસદશ્રી રામભાઈ મોકરીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ તકે અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના વિવિધ લાભોની સાફલ્ય ગાથાની ફિલ્મ નિહાળી હતી. અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામકશ્રી આનંદબા ખાચરે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે સંસદસભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, ડે. મેયરશ્રી કંચનબેન સિધ્ધપુરા, અગ્રણીશ્રી ભરતભાઈ બોઘરા, શ્રી મુકેશભાઈ દોશી, શ્રી વિક્રમ જાદવ, અનુસૂચિત જાતિ વિભાગના ડિરેક્ટર શ્રી રચિત રાજ, અનુસૂચિત જાતિ વિભાગના ઝોનલ ડાયરેક્ટર ખેર કલેકટરશ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, સૌરાષ્ટ્રના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના નાયબ નિયામકશ્રીઓ તથા વિવિધ અધિકારીઓ- કર્મચારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.