‘દ્વારકામાં ભગવાન હવે ક્યાંથી હોઈ? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ’ : સ્વામિનારાયણ મંદિરનું પુસ્તક

રાજકોટ: વડતાલ સ્વામિનારાયણ મંદિરનું વધુ એક પુસ્તક વિવાદમાં આવ્યું છે. શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ ગોપાલાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકના લખાણથી વિવાદ સર્જાયો છે. જેને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
વડતાલ સ્વામિનારાયણ મંદિરના શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ ગોપાલાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં વાર્તા 33માં ભગવાન કૃષ્ણ વિશે લખતા વિવાદ સર્જાયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘દ્વારકામાં ભગવાન હવે ક્યાંથી હોઈ? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ’
રાજકોટના માલધારી સમાજના આગેવાનોએ કહ્યું, વડતાલ સ્વામિનારાયણ મંદિરના પુસ્તકોમાં દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે. પુસ્તકો પરત ખેંચવામાં આવે અને દ્વારકા જઇ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માફી માંગે. આગામી દિવસોમાં આ મુદ્દે અઢારેય વરણના લોકોને એકત્ર કરી સંમેલન કરવામાં આવશે. લખાણ દૂર નહીં કરવામાં આવે તો આગામી સમયમાં માલધારી સમાજ રસ્તા પર ઉતરશે.



