Rajkot: જસદણ-વિંછીયા ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના રજીસ્ટ્રેશન કેમ્પનો શુભારંભ

તા.૨૧/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
વિંછીયા-જસદણ પંથકના ૩૭૦૦ કારીગરોને મળ્યો વિશ્વકર્મા યોજનાનો લાભ:કારીગરોને રજીસ્ટ્રેશન કરવા અનુરોધ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વકર્મા યોજના થકી નાનામાં નાના કારીગરને વધુ સમર્થ બનાવવામાં આવી રહ્યા છે, મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot: ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સવારે ૧૦:૦૦ કલાકે માર્કેટિંગ યાર્ડ વિંછીયા તથા ૧૧:૦૦ કલાકે જૂના માર્કેટિંગ યાર્ડ, જસદણ ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના રજીસ્ટ્રેશન કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જસદણ-વિંછીયા વિસ્તારના લોકોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ આત્મનિર્ભર બનવા માટે અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વકર્મા યોજના થકી નાનામાં નાના કારીગરને પણ પોતાના પરિવારને મદદરૂપ બનવા પોતાની કારીગરીને વધુ વિકસિત કરી વધુ સારી આવક મેળવવા સમર્થ બનાવવામાં આવી રહ્યા છે.
વિંછીયા વિસ્તારમાં હાલ સુધીમાં ૨૫૦૦ જેટલા કારીગરોને આ યોજનાનો લાભ મળ્યો છે તો જસદણ વિસ્તારમાં હાલ સુધીમાં ૧૨૦૦ જેટલા કારીગરોની અરજીઓ મંજૂર થઈ ચૂકી છે તેમ છતાં હજુ પણ આ વિસ્તારના નાનામાં નાના કારીગરને આ યોજનાનો લાભ મળે તે માટે આ રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે જ મંત્રીશ્રીએ કન્યા કેળવણી પર ભાર મુકતા અપીલ કરી હતી કે, સરકાર દ્વારા દીકરીઓને વિવિધ યોજના હેઠળ નિ:શુલ્ક અભ્યાસ કરાવવા આવે છે ત્યારે દીકરીઓ પણ આગળ વધે અને સારૂ શિક્ષણ મેળવે તે માટે લોકો સહકાર આપે, ઉપરાંત આ વિસ્તારના નિરાધાર વૃદ્ધોને પણ મંત્રીશ્રીએ સહાયકારી યોજનાઓના લાભો અપાવવા માટે તત્પરતા દાખવી હતી. વિસ્તારના એક પણ નાગરિકને કોઈ પણ યોજનાના લાભ માટે તમામ પ્રક્રિયામાં સરકારી તંત્ર અને સ્વયં મંત્રીશ્રી સહાયભૂત બની રહ્યા છે ત્યારે લોકો પણ કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને જાણે તો તેને પણ યોજનાઓ વિશે માહિતી આપી “આંગળી ચીંધ્યાનો પુણ્ય કરે” તેવી મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ વિવિધ ૧૮ કળાના કારીગરોના કૌશલ્યનો વિકાસ કરવામાં આવશે. આ યોજના દ્વારા વિશ્વકર્મા ભાઈ- બહેનોને તબક્કાવાર રૂ ૩,૦૦,૦૦૦/- સુધીની ગેરંટી વગરની લોન, રૂ ૧૫,૦૦૦/- સુધીની ટુલકીટ સહાય, સ્કીલ અપગ્રેડેશન માટે ઉચ્ચકક્ષાની તાલીમ તથા કારીગરો દ્વારા ઉત્પાદન કરેલ વસ્તુ પર ક્વોલિટી સર્ટીફિકેટનો લાભ મળશે. કારીગરોને તાલીમ દરમ્યાન પ્રતિ દિન રૂ ૫૦૦/-નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.





