તા.૩/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટની સ્કીન બેંક ખાતે સ્કીન ડોનેશન માટે જિલ્લાના નાગરિકોમાં દિન પ્રતિદિન જાગૃતી વધી રહી છે અને વધુ ને વધુ સ્કીન ડોનેશન મળી રહ્યા છે.
તાજેતરમાં રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલને વધુ એક મૃતકનું ત્વચાદાન મળ્યું છે. રાજકોટના સ્વ. જયેશભાઈ લક્ષ્મીકાંત ભટ્ટનું તા.૨૮/૦૫/૨૦૨૪ના રોજ અવસાન થતા તેમના પરિવાર દ્વારા તેમનું અંગદાન કરવામાં આવ્યું હતું. ગંભીર રીતે દાઝી ગયેલા કેસોમાં, ટ્રોમા દર્દીઓ તેમજ બાયોલોજિકલ ડ્રેસીંગ માટે સારવારમાં આ દાન કરેલ ત્વચા સારવાર માટે ખુબ ઉપયોગી સાબિત થતી હોય છે.
નોંધનીય છે કે, પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટના તબીબી અધિક્ષકશ્રી ડો. આર.એસ.ત્રિવેદી અને પ્લાસ્ટીક સર્જરી વિભાગના વડા ડો. મોનાલી માકડીયાના માર્ગદર્શન હેઠળ સ્કીન બેંક ચાલી રહી છે. ડોનેશનમાં મેળવેલી સ્કીન વ્યક્તિના મૃત્યુ બાદ ૪૫ મિનિટમાં મેળવવામાં આવે છે. પીડીયુની નિષ્ણાંત ટીમ મૃતકના ઘરે જઈને સ્કીન ડોનેશન સ્વીકારે છે. આ માટે હેલ્પલાઈન નંબર ૭૨૧૧૧ ૦૨૫૦૦ સક્રિય છે તેમ તબીબી અધિક્ષક, પી.ડી.યુ હોસ્પિટલ રાજકોટની યાદીમાં જણાવાયું છે