તા.૨/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ઓળખ કાર્ડ, વાહન વ્યવસ્થા, સ્ટેશનરી, કમ્પ્યૂટર ડેટા એન્ટ્રી, આંકડાના પત્રકો, વૈધાનિક સાહિત્ય, મહેનતાણું સહિતની કામગીરી અંગે જરૂરી સૂચના અપાઈ
Rajkot: આગામી તા. ૪ જૂનના રોજ કણકોટ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે અન્વયે ૧૦ – રાજકોટ સંસદીય મત વિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જે અંતર્ગત ૭૦ – રાજકોટ દક્ષિણ વિધાનસભા મતદાર વિભાગના આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરશ્રી ચાંદનીબેન પરમારની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણીના મતગણતરી સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પ્રાંત અધિકારીશ્રીએ ઓળખ કાર્ડ, વાહન વ્યવસ્થા, સ્ટેશનરી, કમ્પ્યૂટર ડેટા એન્ટ્રી, આંકડાના પત્રકો, વૈધાનિક સાહિત્ય, મહેનતાણું સહિતની બાબતોની કામગીરી અંગે ચર્ચા કરીને જરૂરી સૂચના આપી હતી. ઈ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ ખાતેની ફરજો તથા ઓબ્ઝર્વર, માઇક્રોઓબ્ઝર્વર, એજન્ટ સાથે સંકલનની કામગીરી વિષયક સમજૂતી આપી હતી. તેમજ મતગણતરી પૂર્ણ થયા બાદ સિલીંગ થયેલા ઈ.વી.એમ.ને સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે અંદાજે ૬૦ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.





